મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે, બાળક વાંચેલું ભૂલી જાય છે, સાંભળેલું થોડું થોડું સમજાય છે પણ જોયેલું, સાંભળેલું અને જાતે કરેલું વ્યવસ્થિત સમજાઈ જાય છે. સમજપૂર્વકનું જ્ઞાન મેળવે એ માટે મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક દિપેનભાઈ ભટ્ટને શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ ડી.વડસોલાએ પુસ્તક આપી આવકાર્યા હતા. ત્યારબાદ દિપેનભાઈ ભટ્ટે બંને શાળાની ધો.6 થી 8 ની વિદ્યાર્થિનીઓને સ્લાઈડ દ્વારા વિવિધ ઉર્જા સ્રોતો વિશે, પરંપરાગત ઉર્જા અને બિન પરંપરાગત ઉર્જા સ્રોતો વિશે સચિત્ર સમજ આપી વધુને વધુ પરંપરાગત ઉર્જા સ્રોતો જેવાકે સોલાર ઉર્જા,પવન ઉર્જા, જળઉર્જા વગેરેનો ઉપયોગ કરી બનતા સાધનો સોલાર રફ ટોપ, સોલાર વોટર, પવનચક્કી, સોલાર કુકર વગેરે સાધનો દ્વારા કુદરતી ઉર્જાનો ઉપયોગ કરવાની સમજ વિસ્તૃત સમજ આપી હતી.ત્યારબાદ પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં LED બલ્બનું પૂરું નામ શું છે? બિન પરંપરાગત ઉર્જા શ્રોત માટે શું અસંગત છે? સોલાર સેલ કઈ ધાતુમાંથી બને છે? કઈ વનસ્પતિમાંથી બાયોડિઝલ બનાવી શકાય છે? જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર હડિયલ પૂનમ જલારામભાઈને 500 રૂપિયા, દ્વિતિય નંબર પરમાર વંદના હંસરાજભાઈ, હેંસી દિલીપભાઈ પરમાર, ડાભી વિશ્વા યોગેશભાઈ ત્રણેયને બીજો નંબર સંયુક્ત રૂપે આવતા દરેકને 200 રૂપિયા પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. સેમિનારને સફળ બનાવવા જયેશભાઈ અગ્રાવત, દયાળજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા, નીલમબેન ગોહિલ અને હિતેશભાઈ બરાસરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.