મોરબીના મકનસરમાં ટ્રેકટર હડફેટે યુવાનની મૃત્યુની ઘટનામાં હત્યા કરાયાનો આક્ષેપ

- text


ત્રણથી ચાર વ્યક્તિએ માર માર્યા બાદ ટ્રેકટર માથે ચડાવી દઈ મોત નિપજાવ્યાનો આરોપ : મૃતદેહ તાલુકા પોલીસ મથકે લઈ આવી ગુન્હો દાખલ ન થાય ત્યાં સુધી અંતિમ વિધિ નહિ કરવા જાહેરાત

મોરબી : મોરબીના મકનસર ગામે ગઈકાલે સાંજે ટ્રેકટર હડફેટે યુવાનનું મૃત્યુ નિપજવાની ઘટનામાં અકસ્માત નહિ પરંતુ ત્રણથી ચાર શખ્સોએ યુવાનને માર મારી બાદમાં ટ્રેકટર માથે ફેરવી દીધાનો આરોપ લગાવી પરિવારજનો યુવાનનો મૃતદેહ લઈ તાલુકા પોલીસ મથકે હંગામો મચાવતા અંતે આ મામલે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.જો કે, આમ છતાં ગુન્હો દાખલ ન થાય તે સુધી અંતિમવિધિ નહિ કરવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે પ્રકાશભાઈ ગંગારામભાઈ મકવાણા નામના યુવાનનું ટ્રેકટર હડફેટે મૃત્યુ નિપજવા અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે કાર્યવાહી કરતા પરિવારજનો રોષે ભરાયા હતા અને યુવાનનું અકસ્માતમાં નહિ પરંતુ ત્રણથી ચાર શખ્સોએ માર મારી બાદમાં યુવાન ઉપર ટ્રેકટર ચડાવી દઈ મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનો ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. સાથે જ મૃતકના પરિવારજનો મૃતદેહ લઈ તાલુકા પોલીસ મથકે પહોંચી જઈ હત્યા અંગે ગુન્હો નોંધવા માંગ કરી હતી.

- text

બીજી તરફ તાલુકા પીઆઇ એન.આર.મકવાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને જે કઈ હશે તે મુજબ ફરિયાદ નોંધવામાં આવશે. જો કે, મૃતકના પરિજનોએ જ્યાં સુધી હત્યા અંગેનો ગુન્હો ન નોંધાઇ ત્યાં સુધી અંતિમવિધિ નહિ કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

- text