મોરબીમાં પારકી પરણેતર સાથેના સંબંધને કારણે યુવાનની હત્યા થઈ

- text


પરિણીતાને મળવા ગયેલા પ્રેમીને પતિ અને દિયરે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો

મોરબી : મોરબી શહેરમાં ગત મોડી રાત્રીના ખાટકીવાસના નાકા નજીક અજાણ્યા શખ્સોએ પરસોતમ ચોક નજીક રહેતા યુવાનની હત્યા કરી નાખતા અષાઢી બીજના બંદોબસ્ત વચ્ચે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને દોડધામ થઈ પડી હતી. હત્યા પાછળ પરિણીતા સાથેનો પ્રેમ સંબંધ કારણભૂત હોવાનું અને પરિણીતાના પતિ અને દીયરે છરીના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેતા બનાવ અંગે મૃતકની પત્નીએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

હત્યાના બનાવ અંગે મોરબીના પરસોતમ ચોક નજીક રહેતા મૃતકની પત્ની સલમાબેને તૌફિકભાઈ ઉર્ફે ભઈલો ચાનીયા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીના પતિ તૌફિક ઉર્ફે ભઈલાને ત્રણેક વર્ષથી વિશિપરામા બિલાલી મસ્જિદ નજીક રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળીની પત્ની રીંકલ સાથે પ્રેમસંબંધ હોય તેને અવારનવાર મળવા જતો હતો અને રીંકલ પણ તેમના ઘેર આવતી હતી. જો કે, આ પ્રેમસંબંધ બાબતે રીંકલના પતિએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હોય સલમાબેને તેમના પતિને સંબંધ નહિ રાખવા સમજાવ્યા હતા.

- text

દરમિયાન ગઈકાલે મોડીરાત્રે પણ મૃતક તૌફિક ઉર્ફે ભઈલો રીંકલને મળવા જતા રીંકલના પતિ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળી અને તેના ભાઈ નરેન્દ્ર ઉર્ફે મોદી ઉર્ફે ભુરો જગદીશભાઈ કોળીને થતા બન્ને ભાઈઓ સ્કોર્પિયો લઈને તૌફિકની પાછળ આવ્યા હતા અને ખાટકી વાસના નાકા નજીક આવેલ તલાવડી વાસ શેરીમાં છરી તેમજ લાકડી વડે હુમલો કરી તૌફિકને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે સલમાબેનની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text