અજાણ્યા વ્યક્તિને ગ્રામજનોએ પકડી માર મારતા માથામાં ઇજા થવાથી મોત નીપજ્યું હોવાનું ફોરેન્સિક પીએમમાં તારણ : અજાણ્યા લોકો સામે ગુન્હો નોંધાયોમોરબી : મોરબીના ભરતનગર ગામે ગત તા.28ના રોજ ગામમા આંટાફેરા કરતા અજાણ્યા 25થી 40 વર્ષની ઉંમરના યુવાનને ગ્રામજનોએ પકડી માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં યુવાન ભાગવા જતા મૃત્યુ થયાનું ખુલ્યા બાદ પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા આ યુવાનને માથાને ભાગે બોથડ પદાર્થથી ઇજાઓ પહોંચતા મૃત્યુ થયાનું ખુલતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યા અંગે ગુન્હો નોંધી મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.28ના રોજ મોડીરાત્રે મોરબી તાલુકાના ભરતનગર ગામે ગ્રામજનોએ ગામમાં આંટાફેરા કરતા અજાણ્યા શખ્સને પકડી પાડ્યો હોય પોલીસને બોલાવી હતી અને પોલીસ બનાવ સ્થળે પહોંચતા અંદાજે 25થી 40 વર્ષનો અજાણ્યો યુવાન ધ્રૂજતો હતો અને ગ્રામજનોએ પકડી પાડતા ઇજાઓ પહોંચી હોય તાત્કાલિક સારવાર માટે પોલીસ વાહનમાં બેસાડી સારવારમાં લઈ જતા હતા તે સમયે જ આ યુવાનને આચકી ઉપડતા 108 મારફતે સારવારમાં ખસેડાયો હતો.બીજી તરફ આ અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલમાં મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસ રાજકોટ દોડી ગઈ હતી અને ફોરેન્સિક પીએમ કરાવતા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા લાગવાથી ઇજાઓ પહોંચતાએ મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલ્યુ હતું. જો કે મૃતકની ઓળખ મળી ન હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ મથકના કોન્સ્ટેબલ કેતનભાઈ અજાણાએ ફરિયાદી બની અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યા કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.