મોરબીના જસમતગઢ ગામે પ્રદુષણના પાપે ખેતર બંજર બની ગયાનો આરોપ

- text


સિરામિક કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવાતું હોવાનો આરોપ : GPCBના અધિકારીઓ સ્થળ તપાસ માટે ફરક્યા નથી

મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં આવેલા ખેતરના માલિક પ્રાણજીવનભાઈ કાલરીયાએ તેઓના ખેતરમાં બાજુમાં ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવાતો હોય ખેતર બંજર બની ગયું હોવાની રજૂઆત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં કરી છે. ખેડૂત પ્રાણજીવનભાઈએ આરોપ લગાવ્યો છે કે પ્રદુષણના કારણે તેમનું ખેતર બંજર બની ગયું છે અને વાવેતર કરેલો પાક ઉગતો નથી.

મોરબીના જસમતગઢ ગામે પ્રદુષણ મામલે ખેડૂતે મોરબી જિલ્લાની રફાળેશ્વર સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીને લેખિત અરજી સ્વરૂપે ફરિયાદ કરી છે‌. જો કે અરજી કર્યાને 11 દિવસ પૂરા થયા છે છતાં હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરી નથી. ત્યારે હાલ વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલ યુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તો આ તંત્ર બેઠું તો નથી ને? તેઓ સવાલ પ્રદૂષણનો ભોગ બનતા લોકોએ ઉઠાવ્યો છે.

- text

જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જસમતગઢ ગામની સીમમાં તેઓની જમીન આવેલી છે. તે જમીનનાં સેઢે સિરામિક ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે. તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી પ્રાણજીવનભાઈના ખેતરમાં કાઢે છે. જે પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી. પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. ખેતરમાં નકામાં છોડનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડૂતની આજીવિકા હોય આ પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી ગત તારીખ 10 જૂન, 2024નાં રોજ કરી છે. તેમ છતાં આજ દિન સુધીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારીએ આ સ્થળની મુલાકાત લીધી ન હોવાનો આરોપ લગાવ્યો છે.

- text