21 જૂનનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોરબીમાં જિલ્લા કક્ષાએ વિશ્વ યોગ દિવસ ઉજવાશેમોરબી : મોરબીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી અન્વયે આઈકોનીક પ્લેસ તરીકે જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસ ઉજવણીનાં ભાગરૂપે આજે હેરિટેજ મણીમંદિરમાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.'યોગ એટલે કર્મમાં કુશળતા' ભગવત ગીતાનાં આ સૂત્રને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર વિશ્વ યોગમય બને અને સમગ્ર વિશ્વ યોગ અને સ્વાસ્થ્યના સમન્વયને સમજે તે હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રતિ વર્ષ કરવામાં આવે છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને મહામૂલી ભેટ છે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ 21 જૂનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે પૈકી ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સંચાલિત વિશ્વ યોગ દિવસ ઉજવણીનાં ભાગરૂપે હેરિટેજ મણીમંદિર ખાતે આજરોજ તા.19જૂનના રોજ પ્રાંત યુવા વિકાસ અધિકારી સત્યજીતભાઇ વ્યાસની ઉપસ્થિતમાં યોગ નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આગામી 21મી જૂનનાં રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોરબીમાં જિલ્લા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ઉપરાંત મોરબી જિલ્લાના તમામ તાલુકા, ગ્રામ્ય વિસ્તાર તેમજ તમામ શાળાઓમાં 21મી જૂનનાં રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે.