રાજકોટ : રાજકોટ શહેરમાં TRP ગેમ ઝોન આગ દુર્ઘટનામાં હજુ પણ મૃતદેહોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ DNA રિપોર્ટ આવે છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 27 મૃતકોની DNAના આધારે ઓળખ થઈ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.રાજ્યના રાહત કમિશનરે આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા નીચે મુજબના પગલા લેવાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.(1) જે લોકોના પરિવારજનો મળી આવતા નહોતા, તે માટે સૌ પ્રથમ ઘટના સ્થળ પર ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી.(2) બનાવની રાત્રે જેમ જેમ મૃતદેહો રીકવર થયા, તેમ તેમ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડી.એન.એ. સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડી.એન.એ.સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી મોડી રાત્રે પૂર્ણ કરી, એર એમ્બ્યુલન્સ મારફતે એફ.એસ.એલ. ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવેલા હતા.(3) ગુમ થયેલ વ્યકિત અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ-અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી, તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી, તેવા કિસ્સામાં નામોની ફેર-ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી, અને 27 મૃતદેહોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ અને તેના પરિવારજનોના ડી.એન.એ. સેમ્પલ લેવામાં આવેલ. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા 27 લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને 27 મૃતદેહોની તેના વાલી વારસોને સોંપણી થયેલ છે.(4) અમુક લોકો ખાનગી હોસ્પીટલો (ટ્રીનીટી હોસ્પિટલ) માં દાઝેલી હાલતમાં સારવાર લઈ રહેલ છે કે મૃત્યુ પામેલ છે, તેવી ભ્રામક માહિતી બાબતે જણાવવાનું કે, ટ્રીનીટી હોસ્પિટલ દ્વારા સોશ્યલ મીડિયામાં વીડિયો દ્વારા રદિયો આપવામાં આવેલ છે તેમજ હોસ્પીટલના સંચાલકનું મામલતદાર દ્વારા નિવેદન લઈ ઉપરોકત બાબત ખોટી હોવાની ખરાઈ કરવામાં આવેલી છે.(5) હિતેષભાઈ ઉર્ફે વિજયભાઈ લાભશંકર પંડયાએ તેના ભાણેજ તથા તેના જૂના પાડોશીના બે સંતાનો મળીને કુલ ત્રણ વ્યકિત ગુમ હોવાની ફરિયાદ કરતા તેમની વિગતો ચકાસતાાં આ બાબત ખોટી જણાતાં આ વ્યકિત વિરુદ્ધઆઈ.પી.સી. ની કલમ 211 હેઠળ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલા છે.(6) તમામ 27 મૃતદેહોના સેમ્પલ લેવાયેલ ત્યારથી દરેક હતભાગી દીઠ એક નાયબ મામલતદાર અને એક પી.એસ.આઈ. ની નિમણૂક કરવામાં આવેલ અને તેમના પરિવારનો સંપર્ક કરી, જયારે મૃતદેહ સોંપવામાં આવે ત્યારથી અંતિમ વિધિ સુધી તમામ બાબતમાં મદદરૂપ થવા અને ત્યાર બાદ મૃતકને આપવાની થતી સી.એમ.રીલીફ ફંડ અને પી.એમ. રીલીફ ફંડની સહાયની પ્રક્રિયા પુર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.(7) એફ.એસ.એલ. ટીમ દ્વારા મૃતદેહોના ડીએનએ પરિવારજનોના ડીએનએ સાથે મેચ કરવા માટેની કામગીરી દિવસ રાત સતત કરવામાં આવી હતી.(8) હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરીવારજનો ગુમ હોવાની ફરીયાદ પેન્ડીંગ નથી અને 27 મૃતદેહો તેમના પરીવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.(9) આમ છતાં હજુ પણ કોઈ વ્યક્તિ ની ભાળ આગ દુર્ઘટના પછી મળતીના હોય અને તેમના પરિવારજનોને શંકા હોય તો રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા ફોન નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.મૃતકોની યાદી નીચે મુજબ છે1. જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (ઉ.34)2. સ્મિત મનીષભાઈ વાળા (ઉ.22)3. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (ઉ.21)4. સુનીલ હસમુખભાઈ સિદ્ધપુરા (ઉ.30)5. આશાબેન ચંદુભાઈ કાથડ (ઉ.19)6. હિમાંશુ દયાળજીભાઈ પરમાર (ઉ.20)7. ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.36)8. વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (ઉ.24)9. સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.22)10. નમ્રદીપસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.19)11. જયંત અનિલભાઈ ઘોરેચા (ઉ.45)12. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)13. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.40)14. દેવાંશી (દેવશ્રી) હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.12)15. રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (ઉ.15)16. નિરવ રસીકભાઈ વેકરીયા (ઉ.20)17. શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ઉ.25)18. વિવેક અશોકભાઈ દુસારા (ઉ.28)19. ટીશા અશોકભાઈ મોડાસિયા (ઉ.24)20. કલ્પેશ પ્રવીણભાઈ બગડા (ઉ.22)21. ખ્યાતિ રતિભાઈ સાવલિયા (ઉ.28)22. ખુશાલી વિવેકભાઈ દુસારા (ઉ.24)23. હરિતા રતિભાઈ સાવલિયા (ઉ.25)24. મિતેશ બાબુભાઈ જાદવ (ઉ.30)25. પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ (ઉ.45)26. મોનુ કેશવ ગૌંડ (ઉ.21)27. અક્ષય કિશોરભાઈ ઢોલરીયા (ઉ.28)