જુના બસસ્ટેન્ડ નજીક મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કરતા નોંધાયો હતો ગુન્હોમોરબી : મોરબીમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન જુના બસસ્ટેન્ડ નજીક એક યુવતીએ મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા સુત્રોચાર કરતા સીટી એ ડિવિઝનમાં નોંધાયેલ ફરિયાદ બાદ આ યુવતીએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર અદાલતે આ યુવતીની જામીન અરજી ફગાવી દીધી હતી.મોરબીના મચ્છીપીઠમાં મસ્જીદ રોડ પર રહેતા ફારૂક આદમ સંધીએ અજાણી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. 17ના રોજ રામનવમી નિમિતે શોભાયાત્રા નીકળી હતી ત્યારે મચ્છીપીઠ પાસેથી શોભાયાત્રા પસાર થઇ તે સમયે એક અજાણી મહિલાએ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા નારા લગાવ્યા હતા. બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ આઈપીસી કલમ ૨૯૫ (એ), ૧૫૩ (એ), ૫૦૪ મુજબ ફરિયાદ નોંધી હતી.પોલીસ આ બનાવના તાકીદે તપાસ શરૂ કરી આરોપી યુવતીની ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આ કેસમાં મોરબીની આરતી જાકાસાણીયા નામની યુવતીએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા મદદનીશ સરકારી વકીલ દ્વારા આરોપીને આગોતરા જામીન આપવાનો સખ્ત વિરોધ કરતી દલીલો કરતા નામદાર અદાલતે આ ગંભીર બનાવ મામલે આરોપી યુવતીની જામીન અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે ફરિયાદ પક્ષ દ્વારા પણ આ કેસમાં સાતથી આઠ વકીલો રોકવામાં આવ્યા હોવાનું અને યુવતીએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યાનું જાણવા મળે છે. કાર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન રદ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.