વાંકાનેરના વઘાસીયામાં ધર્મસ્થળનો પ્રચાર માટે ઉપયોગ કર્યાનો આરોપરાજકોટ : રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ધર્મસ્થાનનો પ્રચાર માટે ઉપયોગ કર્યો હોવાના આરોપ સાથે આચારસંહિતા ભંગની ફરિયાદ થતા હાલમાં વાંકાનેર પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી મારફતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.20ના રોજ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ વાંકાનેર તાલુકામાં ચૂંટણી પ્રવાસ દરમિયાન વઘાસીયા ગામે ચૂંટણી પ્રચારમાં જતા મયુર શાહ નામના વ્યક્તિ દ્વારા ચૂંટણીપંચમાં કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર માટે ધર્મસ્થળનો ઉપયોગ કર્યાનું જણાવી ફરિયાદ કરતા આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વાંકાનેર વિધાનસભા બેઠકના એઆરઓને તપાસ કરવા સૂચના આપી હતી.દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આચારસંહિતા ભંગની ફરિયાદ અંગે જણાવ્યું હતું કે,મયુર શાહ નામની વ્યક્તિની ફરિયાદ બાદ એમસીસી કમિટી મારફતે તપાસ ચાલી રહી છે જે રિપોર્ટ આવ્યા બાદ ચૂંટણીપંચને રિપોર્ટ સોંપવામાં આવશે.