રસ્તો ચાલુ કરવા બાબતે મામલતદારને આપ્યું આવેદન પત્ર Morbi: શહેરમાં શનાળા રોડ પર આવેલા લાયન્સનગર મેઈન રોડથી ગોકુલ નગરમાંથી થઈને સિદ્ધનાથ રોડ સુધીનો અવરજવર માટે રસ્તો ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થવાના કારણે આજુબાજુના વાડી વિસ્તારના લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડતી હોવાથી વહેલીતકે આ રસ્તો ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.સ્થાનિક રહીસોએ મામલતદાર કચેરીમાં હલ્લાબોલ કરી ન્યાય આપવાની માગ સાથે રામધૂન પણ બોલાવી હતી.જમીન માપણીના પ્રશ્ને લાયન્સનગર મેઈન રોડથી ગોકુલ નગરમાંથી થઈને સિદ્ધનાથ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. આ સમસ્યાને પગલે વોર્ડ નં.11 ના મોટી બજારની વાડી, સામતાણીની વાડી, નાની બજારની વાડી, જાગાની વાડી, જોધાણીની વાડી, ઘુડની વાડી સહિતની વાડીના રહીસો દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી વહેલી તકે આ હાલાકી દૂર કરવામાં આવે તેવી રજુઆત કરી હતી. તેમજ આ મામલે ધારાસભય કાંતિલાલ અમૃતિયાને પણ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે શહેર મામલતદાર વાળાએ જણાવ્યું હતું કે આ અંગેનો કેસ ચાલુ છે, ડોક્યુમેન્ટની ચકાસણી તેમજ બંને પક્ષને સાંભળીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે