વિદ્યાર્થીઓની સાથે વાલીને પણ અપાશે ભોજન : લાભ લેવા ચેરમેન રજનીભાઈ સંઘાણીની અપીલહળવદ : આગામી 11 માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન હળવદના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે આવતા વાલીઓ માટે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા સતત સાતમાં વર્ષે પણ બપોરના સમયે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા ઉભી કરી છે.છેલ્લા સાત વર્ષથી બોર્ડની પરીક્ષા દરમિયાન હળવદના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓ માટે બપોરના સમયે હળવદ માર્કેટ યાર્ડમાં આવેલ ખેડૂત ભોજનાલી ખાતે હળવદ યાર્ડ દ્વારા વિદ્યાર્થીની સાથે તેના વાલી તેમજ વિદ્યાર્થીઓને લઈને આવેલ વાહન સંચાલક માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.આ વર્ષે પણ આ સેવા યજ્ઞ માર્કેટ યાર્ડ દ્વારા ચાલુ રાખવામાં આવ્યો છે.વધુમાં યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સેવા યજ્ઞ છેલ્લા સાત વર્ષથી ચાલે છે.હળવદ યાર્ડ ખેડૂતો થકી જ આજે નવી ઉંચાયો સર કરી રહ્યું છે અને અહીં પરીક્ષા આપવા આવતા પણ ખેડૂત પરિવારના સંતાનો છે.જેથી પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને ટાઈમસર ભોજન મળી રહે તે માટે થઈ વિદ્યાર્થીઓના હિતમાં આ વર્ષે પણ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરાવી છે.પરીક્ષા દરમિયાન દરરોજ સરેરાશ 250 થી 300 વિદ્યાર્થીઓ ભોજન લે છે.