કડવા પાટીદાર માટે ફેવરિટ ગણાતી રાજકોટ બેઠક ઉપર અનેક ઉમેદવારોની દાવેદારી વચ્ચે ભાજપની ટોચની નેતાગીરીમાંથી મળતા સંકેતોમોરબી : વડાપ્રધાન નરેન્દ્રમોદી સહિતની ટોચની નેતાગીરી હરહંમેશ ધારણાઓથી કંઈક અલગ જ નિર્ણય લેવામાં કુશળ છે ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં કડવા પાટીદાર માટે ફેવરિટ ગણાતી રાજકોટ લોકસભા બેઠક ઉપર મોરબી - માળિયાના પૂર્વ ધારાસભ્ય અને સનિષ્ઠ કાર્યકર ગણાતા પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરેજને મેદાનમાં ઉતારે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે.જોગાનું જોગ આજે બ્રિજેશ મેરજાનો જન્મદિવસ છે ત્યારે આ શુભસમાચાર આજે જ મળે તેવા સંકેતો પણ મળી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરીમાંથી મળી રહેલા સંકેતો મુજબ રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉમેદવારની પસંદગીમાં આ વખતે હાઇકમાન્ડ અપસેટ સર્જવાના મૂડમાં છે અને આ અપસેટમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી તેમજ સંનિષ્ઠ કાર્યકર એવા બ્રિજેશભાઈને લોટરી લાગે તેવા ઉજળા સંજોગો વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટથી તેમને લડાવવામાં આવે તેવું મનાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર સમાજ માટે ફેવરિટ ગણાતી રાજકોટ લોકસભા બેઠક માટે પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યમંત્રી કુંવરજી બાવળીયા, ડો.ભરત બોઘરા, ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકા ચીખલીયા, રાજકોટના કિરણબેન માકડીયા સહિતના નામો ચર્ચામાં છે ત્યારે આજે બ્રિજેશ મેરજાનો જન્મદિવસ હોય સંભવતઃ સાંજ સુધીમાં તેઓને બર્થડે ગિફ્ટ રૂપે લોકસભા ટિકિટ મળે તેવા અણસારો મળી રહ્યા છે.