મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વર્ધમાન સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવા બાબતે અને પીવાના પાણી બાબતે હેરાન-પરેશાન થઈ ગયા છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકાને લેખિત રજૂઆત કરી છે.મોરબીની વર્ધમાન કો.ઓપ. હા. સોસાયટી લી.ના રહીશોએ પાલિકામાં ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિક્સ થઈને આવે છે અને ભૂગર્ભ ચોકઅપ થઈ ગઈ છે. છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી ગંદુ પાણી આવી રહ્યું છે જેના કારણે જાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો છે. આ અંગે નગરપાલિકાના સંબંધિત વિભાગમાં રજૂઆત કરતાં જેટિંગ મશીન મોકલ્યું હતું પરંતુ આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.વધુમાં સફાઈ કર્મચારીઓ પણ અલગ અલગ બહાના આપીને ચાલ્યા જાય છે. તમામ પ્રકારનો વેરો ભરવા છતાં યોગ્ય સુવિધા મળતી ન હોવાનું રહીશો જણાવી રહ્યા છે. અને પીવાના શુદ્ધ પાણીનો ઉકેલ ન આવે ત્યાં સુધી પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી ટેન્કર મોકલવામાં આવે તેવી રજૂઆત કરી છે.