મોરબી : આગામી 22 જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબીના બગથળા ગામમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ નકલંક મંદિરના દામજી ભગત દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી ગામલોકો દ્વારા પ્રાચીન ધૂન-ભજનો ગાતા સંગીતના સથવારે સમગ્ર ગામમાં કુંભની શોભાયાત્રા નીકળી હતી. જે ગામના દરેક મંદિર સુધી ફેરવવામાં આવ્યો હતો અને ગામના દરેક લોકોમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.