પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ 16 નવેમ્બર, 1966થી ઔપચારિક કાર્ય શરૂ કરેલુંમોરબી : ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ (National Press Day) દર વર્ષે 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પત્રકારિતાની હાજરીનું પ્રતીક છે. આજે વિશ્વના લગભગ 50 દેશોમાં પ્રેસ કાઉન્સિલ અથવા મીડિયા કાઉન્સિલ છે. પ્રેસને ભારતની લોકશાહીના ચાર સ્તંભ પૈકીનું એક માનવામાં આવે છે. ભારતમાં પ્રેસને ‘વોચડોગ’ કહેવામાં આવે છે અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને ‘નૈતિક ચોકીદાર’ કહેવામાં આવે છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ પ્રેસની સ્વતંત્રતા અને જવાબદારીઓ તરફ આપણું ધ્યાન દોરે છે. પ્રેસની સમાજ પ્રત્યેની જવાબદારીઓનો પ્રતીક સમાન આ દિવસ દેશમાં પ્રેસની સ્વતંત્રતાને પણ ચિહ્નિત કરે છે. પ્રેસની સ્વતંત્રતાની અભિવ્યક્તિ એ પ્રેસની સ્વતંત્રતાનું એક આવશ્યક પાસું છે. જે પ્રેસની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે, કારણ કે ઘણીવાર પ્રેસને કાયમ નિર્બળ અને પોતાના હક્ક માટે અવાજ ના ઉઠાવી શકનારા લોકોના અવાજ તરિકે ઓળખવામાં આવે છે. પ્રેસ એ શાસક અને પ્રજા વચ્ચેની અગત્યની કડી છે.પ્રથમ પ્રેસ કમિશને ભારતમાં પ્રેસ-મીડિયા-પત્રકારિતાની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને પત્રકારત્વમાં ઉચ્ચ માપદંડો- ધોરણો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રેસ કાઉન્સિલની કલ્પના કરી હતી. પરિણામે, 04 જુલાઈ, 1966ના રોજ ભારતમાં પ્રેસ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી તેમજ 16 નવેમ્બર, 1966થી તેનું ઔપચારિક કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ દર વર્ષે 16મી નવેમ્બરને ‘રાષ્ટ્રીય પ્રેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે.