ગામના સરપંચે જીપીસીબીને ઓનલાઇન ફરિયાદ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરીમોરબી : માળિયાના નાનાભેલા ગામે કોઈ નઠારા તત્વો જાહેરમાં પ્રદુષિત કચરો ઠાલવી જતા જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. આ મામલે ગામના સરપંચે જીપીસીબીને ઓનલાઇન ફરિયાદ કરી ગામમાં પ્રદુષણ ફેલાવનાર જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.માળીયા તાલુકાના નાનાભેલા ગ્રામ પંચાયતના સરપંચ ભવિકભાઈ કાવરએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ઓનલાઈન ફરિયાદ કરી હતી કે, માળીયા તાલુકાના નાનાભેલા ગામે અજાણ્યા માણસો ગામની જમીન અને ગામના શુદ્ધ વાતાવરણને પ્રદુષિત કરે તેવો જૈવીક કચરો ઠાલવી ગયા છે. આ પ્રદુષિત કચરો ગામના આરોગ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. ગામના લોકો અને પશુઓનું આરોગ્ય જોખમમાં મુકાય શકે તેમ છે. તેમજ ગામની જમીન પણ પ્રદુષિત થાય એવી દહેશત સેવાય રહી છે. આથી ગામના શુદ્ધ વાતાવરણને પ્રદુષિત કરનાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરો જેથી બીજી વખત ગામને પ્રદુષિત કરવાનું દુ:સાહસ ન કરી શકે તેમ તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.