ગેરકાયદે બાંધકામો ઉપર રોક લાગશે ? લાંબા સમય બાદ સરકારમાંથી અધિકારીની નિમણુંકમોરબી : રામ ભરોસે ચાલતી મોરબી નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ જેવા વિભાગો હંગામી કે ઇન્ચાર્જને હવાલે રહ્યા બાદ લાંબા સમયે ગુજરાત સરકાર દ્વારા નગર નિયોજક તરીકે કાયમી અધિકારીને મુકતા હવે મોરબીમાં ગેરકાયદે બાંધકામોનું દુષણ અટકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે.આજે ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર નિયોજકના પ્રમોશન ઓર્ડર કરવામાં આવ્યા છે જે અન્વયે 17 અધિકારીઓને બઢતી આપી બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ નગર રચના એકમ -1ના વી.બી.ગાયકવાડને મોરબી નગરપાલિકા ખાતે નિમણુંક આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રમાં આવતા મોરબીમા નગરપાલિકા કચેરીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ હંગામી, રોજમદાર કે ઇન્ચાર્જ હવાલે ચાલતો હોય શહેરમાં ઠેર - ઠેર ગેરકાયદેસર બાંધકામો ખડકાય ગયા છે એ સંજોગોમાં હવે કાયમી નગર નિયોજકની નિમણુંક થતા ગેરકાયદે બાંધકામના દુષણ ઉપર લગામ કસાય તેવા સંકેતો મળી રહ્યા છે.