જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગણી સાથે ધારાસભ્ય કાંતિલાલ, દુર્લભજીભાઈ અને પ્રકાશભાઇને રજુઆતમોરબી : મોરબી જિલ્ળાના શિક્ષકો દ્વારા જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી જૂની પેન્શન યોજના લાગુ કરવા માંગ કરી છે. ગત વર્ષે થયેલ આંદોલન વખતે મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર ઠરાવ બહાર પાડી અમલ કરવા તથા સંગઠનના નવ સંવર્ગના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારમાં ભલામણ પત્ર લખવા અંગે જિલ્લાના ત્રણેય ધારાસભ્ય સમક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરાઈ છે.મોરબી જિલ્લાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કાંતિલાલ અમૃતિયા અને દુલર્ભજી દેથરીયાને અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નો અંગે માંગ તથા આંદોલન કરી રહ્યું છે. તે સંદર્ભે ગત વર્ષ થયેલ આંદોલન દરમિયાન મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ ૦૧-૦૪-૨૦૦૫ પહેલાં નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા સમાધાન થયેલ અન્ય બાબતોના ઠરાવ થયેલ નથી. મુખ્યમંત્રીએ માહિતી ખાતાના માધ્યમથી તથા સરકારના પ્રવક્તા મંત્રીએ મિડિયા સમક્ષ કરેલ જાહેરાત અનુસાર ઠરાવ ન થતાં સમગ્ર શિક્ષકોમાં આક્રોશની લાગણી છે. ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, સમાધાન મુજબના ઠરાવ કરીને તેને અનુસંધાને કાર્યવાહી કરવા તથા સંગઠન સંલગ્ન નવ સંવર્ગના નીચે જણાવ્યા અનુસારના પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સરકારમાં ભલામણ પત્ર લખવા આવેદન અપાયું છે અને પડતર પ્રશ્નો ગુજરાતના તમામ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો. સરકાર દ્વારા નિયુક્ત પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર કેન્દ્ર સરકારની જેમ તારીખ ૧-૦૪-૨૦૦૫ પહેલાં અને પછી નિમણૂંક પામેલ શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા તથા તેને આનુષાંગિક કાર્યવાહી કરવી. ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જુના શિક્ષકની ભરતી અન્વયે તમામ પ્રકારની બદલીનો લાભ આપવો તથા તેના માટે સમિતિની રચના કરવી તથા અન્ય પડતર પ્રશ્નો એન.પી.એસ.વાળા કર્મચારીઓને નિવૃતિ સમયે ૩૦૦ રજાનું રોકડ રૂપાંતર આપવું. જ્ઞાન સહાયક ભરતીને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવી ગ્રાન્ટેડ તથા સરકારી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મંજૂર મહેકમની વિષય શિક્ષક ,પી.ટી.શિક્ષક, લૅબ ટીચર, ગ્રંથપાલ,ચિત્ર શિક્ષક , ઉદ્યોગ શિક્ષક ૩૩,૦૦૦થી વધુ જગ્યા ઉપર કાયમી શિક્ષકોની તથા આચાર્યોની સત્વરે ૧૦૦% ભરતી કરવી. પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને માતૃત્વ રજાનો લાભ આપવો.તા.૨૨/૦૪/૨૦૨૨ ના નાણાં વિભાગના માતૃત્વ રજા બાબતે કરેલ ઠરાવમાં સુધારો કરી ૧૯૯૭ થી અત્યાર સુધી અને હવે પછી ફિક્સ પગારમાં જોડાનાર તમામ બહેનોને નિમણૂંક તારીખથી નિયમ મુજબ માતૃત્વ રજાનો લાભ આપવા અને રજાઓની કપાત પગારની રજાઓમાં સામેલ ના કરતા નિમણૂંક તારીખથી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો. મહાનગરપાલિકામાં જિલ્લા ફેરથી આવેલા શિક્ષકોને પેન્શન મૂળ જિલ્લા અને મહાનગરપાલિકા બંને કક્ષાએ મંજુર કરાવવાનું થાય છે. પેન્શન બે જગ્યાએ નિયમ મુજબ વહેંચાઈને મળતું હોય છે. તે નિયમમાં સુધારો કરી માત્ર નિવૃત્તિ સમયની ફરજ પરના જિલ્લા કે મહાનગર માં પેંશન મળે તેમ કરવું. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને૪૨૦૦ નો ગ્રેડ પે નો લાભ આપવામાં આવે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવામાં આવે. HTAT મુખ્ય શિક્ષકોના બદલી નિયમો માટેની કમિટીમાં સંગઠનનો અભિપ્રાય લઈ ફાઈનલ નિયમોની સંગઠન સાથે ચર્ચા કરી સત્વરે દિવાળી વેકેશન પહેલા HTAT ના બદલી કેમ્પનું આયોજન થાય તે રીતે ઝડપથી બદલી નિયમો તૈયાર કરવામાં આવે. સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જેમને પણ નિયુક્તિ કરવામાં આવે છે, તેઓને આચાર્યનું એલાઉન્સ આપવામાં આવે તથા વેકેશનમાં સંસ્થામાં રહી કરેલ કામગીરી બદલ મળવા પાત્ર પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવામાં આવે.વગેરે પ્રશ્નોની ધારાસભ્યો સમક્ષ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વિગતવાર રજુઆત કરી હતી.