મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવેના માર્ગદર્શન હેઠળ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરાયું હતું. સાથે જ ગ્રામજનોને પણ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી. આ ઉપરાંત આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ કઢાવી લેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડો. ડી.એસ. પંચોટીયા દ્વારા લોકોને અપીલ કરાઈ હતી. જે લોકોને આ કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે.