પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે રફાળેશ્વરનો પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો

- text


 

શ્રાવણી અમાસ નિમિતે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લોકમેળો બે દિવસ ચાલશે, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજનની રાવટીઓની જમાવટ સાથે હજારો લોકો પિતૃતર્પણ કરશે

મોરબી : જન્માષ્ટમીના બબ્બે ક્રિષ્ના લોકમેળાને પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોથી શ્રાવણી અમાસ નિમિતે ભરતા પૌરાણિક લોકોમેળાને મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ ભક્તિ સાથે આનંદ કિલ્લોલથી મેળો માણી શકે એ માટે જાબુડિયા ગ્રામ પંચાયત સાથે મળીને મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી શ્રાવણી અમાસ નિમિતે તા.14 અને તા 15 એમ લગાતાર બે દિવસ સુધી રફાળેશ્વર મંદિરે “શિવતરંગ” લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રફાળેશ્વર મંદિરે પૂર્વ સીએમ રૂપાણીના હસ્તે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી અમાસ નિમિતે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં તા.14 અને તા 15 સપ્ટેમ્બરના રોજ બે દિવસ સુધી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ રફાળેશ્વર લોકમેળાને “શિવતરંગ” નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અગ્રણીઓની હાજરીમાં આજે ઉદઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા હતા. આ મેળાની કાલે શુક્રવારે અમાસના દિવસે ખરી રંગત જામશે. આ મેળામાં ભક્તિનું ખાસ મહત્વ હોય એટલે ભગવાન શિવની ભક્તિને ઉજાગર કરતા વિવિધ ભક્તિસભર કાર્યકમો યોજાઈ રહ્યા છે. આજે રાત્રે આખી રાત ભજનની રાવટીઓ ધમધમી ઉઠશે. આજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા.15ના રોજ મહાદેવના ગુણગાન ગાતા ભક્તિસભર અને મનોરંજક કાર્યકમો યોજાશે. સાથેસાથે રફાળેશ્વર મંદિરે પ્રાચીન પીપળે પિતૃતર્પણનું મહત્વ હોવાથી હજારો લોકો અમાસના દિવસે ઉમટી પડીને પિતૃતર્પણ કરશે.

- text

યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ મેળાને “શિવતરંગ” નામ એટલે અપાયું છે કે, મહાદેવના સાનિધ્યમાં અને તેમના દર્શન બાદ ભક્તિ સાથે મેળો યોજાતો હોય ભગવાન ભોળાનાથની ભક્તિનું મહાત્મ્ય જાળવવા માટે શિવતરંગ મેળાનું નામ રખાયું છે. સાથે સાથે પહેલા આ મેળો શ્રાવણી અમાસના આગળ દિવસે સાંજે મેળો શરૂ થતો હોય પણ આ વખતે આજે સવારથી જ આ મેળો શરૂ થઈ ગયો છે અને બે દિવસ સુધી મેળો ચાલશે. એટલે મોરબી સહિત સૌરાષ્ટ્રના લોકો બે દિવસ સુધી મેળો માણી શકશે. આ શિવતરંગ મેળામાં અવનવી રાઈડ્સ ફજેત સહિતની મનોરંજનની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મેળાની મોજ માણવાની સાથે શ્રાવણી અમાસ એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર વચ્ચે ભક્તિસભર કાર્યકમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ “શિવતરંગ” લોકમેળાનો સૌરાષ્ટ્રના તમામ ભકતો અને ધર્મપ્રેમી લોકોને લાભ લેવા અપીલ કરી છે.

- text