મોરબી : 135 નિર્દોષ લોકોનો જીવ લેનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સરકારે સ્પેશિયલ પી.પી. તરીકે રાજકોટના સંજય કે.વોરાની નિમણુંક કર્યા બાદ તેઓએ રાજીનામુ ધરી દેતા ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીને ફરી આ કેસની જવાબદારી સોંપી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઓરેવા ગ્રુપના એમડી સહિત દસ લોકો સામે નોંધાયેલ કેસમાં ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજકોટના સરકારી વકીલ એસ.કે.વોરાની નિમણુંક કરવામાં આવી હતી. જો કે બાદમાં તેમને રાજીનામુ ધરી દેતા આ ચકચારી કેસમાં ગુજરાત સરકારે અન્ય કોઈ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક ન કરતા નામદાર મોરબી કોર્ટ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બીજી તરફ રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર આ ગોઝારી દુર્ઘટના કેસમાં તાત્કાલિક અસરથી એસ.કે.વોરાને છુટા કરી તેમની જગ્યાએ મોરબી નામદાર કોર્ટના ડીજીપી વિજયભાઈ જાનીને આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જવાબદારી સુપરત કરતો પત્ર પાઠવ્યો છે.