રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય મોરબી : રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. જેમાં રાજ્યના ૧૪ જિલ્લા ઉપરાંત બાકી રહેતા જિલ્લાના ખેડૂતોને પણ ૧૦ કલાક વીજળી અપાશે તેમ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યુ છે કે,રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના ૧૪ જિલ્લાઓ માં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામા આવી રહી છે. તેમણે ઉમેર્યુ કે,ત્યારબાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કાર્યરત ૧૦ કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર,પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. ૦૨.૦૯. ૨૦૨૩થી કરાશે.આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.૦૫.૦૯. ૨૦૨૩થી ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.