ચંદ્રયાનની સફળતા બાદ ચંદ્ર ઉપર માનવો દ્વારા છોડવામાં આવેલી વસ્તુઓ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી મોરબી : સમગ્ર વિશ્વમાં ભારતના મૂન મિશનની સફળતાની વાહવાહ થઇ રહી છે અને આખી દુનિયામાં ચંદ્રની વાતો થવા લાગી છે ત્યારે વિશ્વભરની સ્પેસ એજન્સીઓ પૃથ્વીના આ નાનકડા ઉપગ્રહની શોધ કરવા અવારનવાર મિશન મોકલ્યા બાદ ચંદ્રમાં ઉપર માનવો દ્વારા છોડવામાં આવેલી વસ્તુઓ પણ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. ચંદ્રમાની સપાટી ઉપર માનવો દ્વારા છોડવામાં આવેલી ઘણી બધી વસ્તુઓ આજે પણ એમ ને એમ પડેલી છે. ઓક્સિજનના અભાવે હાલમાં ચંદ્રમાની સપાટી ઉપર માનવ મળ ભરેલી થેલીઓ સહીત 200 ટન કચરો પડ્યો હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા છે. વીટીવીના રિપોર્ટ મુજબ સૌ પ્રથમ અમેરિકાએ 1959માં મનુષ્યને ચંદ્ર પર ઉતારીને ઇતિહાસ રચ્યો હતો. અત્યાર સુધી આવા અનેક અભિયાનો થયા છે, છતાં ચંદ્ર પૃથ્વીના રહેવાસીઓ માટે રહસ્ય બનીને રહી ગયો છે. અત્યાર સુધીમાં દુનિયાભરના 12 અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો છે, રાતો વિતાવી છે અને કાર પણ ચલાવી છે. પરંતુ, જ્યારે તેઓ પૃથ્વી પર પાછા આવ્યા, ત્યારે તેઓએ ચંદ્ર પર ઘણો કચરો છોડી દીધો. જેમાં માનવ મળ, માનવ ભસ્મ, ફોટો ફ્રેમ, ગોલ્ફ બોલ અને ઘણો બધો કચરો સામેલ છે. ચંદ્ર પર લગભગ 200 ટન કબાડ રહી ગયો છે. ચંદ્ર પર માનવો દ્વારા છોડવામાં આવેલી એક મોટી ચીજ માનવ મળ છે. ચંદ્ર પર 96 થેલીઓ ભરીને માનવ મળ હજુ હાલમાં પણ પડેલો છે. વૈજ્ઞાનિકો તેને એક દિવસ પૃથ્વી પર પાછા લાવવા ઉત્સુક છે, જેથી કરીને ચંદ્રનો વધારે સ્ટડી થશે જોકે હજુ સુધી આવું થઈ શક્યું નથી. દરેક મૂન મિશનની સાથે એક ધ્વજ પણ હોય છે. આ પરંપરાની શરૂઆત 1969માં એપોલો 11 દરમિયાન આર્મસ્ટ્રોંગ અને એલ્ડ્રિને કરી હતી. જોકે, એપોલો 11 મૂન લેન્ડિંગ દરમિયાન છેલ્લી ઘડીએ ચંદ્રની સપાટી પર ધ્વજ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભવિષ્યના તમામ એપોલો મિશન પણ તેને અનુસર્યા હતા. ચંદ્ર પર પવન ન હોવાથી ધ્વજ ક્યારેય 'ઊડશે નહીં'. આથી તે એક જ જગ્યાએ રહે અને સંબંધિત સ્પેસ એજન્સી ત્યાં ગઈ હોવાના સંકેત રૂપે પણ ધ્વજ લગાવવામાં આવ્યા હતા. જીન શૂમેકર એક અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી હતા જેમણે સ્થળીય ક્રેટર્સનો સ્ટડી કર્યો અને ઘણા ધૂમકેતુઓ અને ગ્રહોની શોધ કરી હતી. મોત બાદ તેમની રાખને ચંદ્ર પ્રોસ્પેક્ટર સ્પેસ પ્રોબ કેપ્સ્યુલમાં ચંદ્ર પર લઈ જવામાં આવી હતી. આ કેપ્સ્યુલ હજુ પણ ચંદ્રની સપાટી પર મોજૂદ છે. અત્યાર સુધીમાં દુનિયાભરના 12 અવકાશયાત્રીઓએ ચંદ્ર પર પગ મૂક્યો છે અને તેઓ ચંદ્ર પર આ બધી વસ્તુઓ છોડીને પૃથ્વી પર આવ્યાં હતા.16મી સદીના ઉત્તરાર્ધમાં, ગેલિલિયો ગેલિલી નામના મહાન ખગૌળશાસ્ત્રીએ ઈટાલી સ્થિત પિઝાના મિનારા પરથી એક હળવી અને એક ભારે પરંતુ વજનમાં બન્ને સરખી વસ્તુઓ ઉપરથી નીચે ફેંકી હતી, આ બન્ને વસ્તુઓ કેટલા સમયમાં નીચે પડે છે તે જાણવાનો તેમનો હેતુ હતો, તેમની ધારણા સાચી પડી અને બન્ને વસ્તુઓ એકસાથે જમીન પર પડી હતી. 1971માં અપોલો 15ના અવકાશયાત્રી ડેવિડ સ્કોટે ચંદ્રની સપાટી પર આવો જ એક પ્રયોગ કર્યો હતો. સ્કોટે એક જ સમયે એક પાંખ અને હથોડી છોડી દીધી, અને દુનિયાએ જોયું કે આ બન્ને વસ્તુઓ એક જ સમયે ચંદ્રની સપાટી પર પડી હતી. ઉલ્લેખનીય છે કે, ચંદ્ર ઉપર પડેલી વસ્તુઓ ન સડવા પાછળનું કારણે ત્યાં ઓક્સિજન (હવા)નું ન હોવું તે છે. આ બધી વસ્તુઓ ચંદ્ર પર કાયમ એમને એમ જ પડી રહેશે જ્યાં સુધી તેને ત્યાંથી હટાવીને પૃથ્વી પર ન લાવવામાં આવે ત્યાં સુધી તેના સડવાનો કોઈ સવાલ જ નથી. હવાના સંપર્કમાં આવવાથી વસ્તુઓ સડે છે.