મોરબી : રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે મોરબીના વિવિધ સ્ટુડન્ટ પોલીસ કેડેટની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શિક્ષકની ભૂમિકા ભજવી હતી. રાજકોટના રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મોરબીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિવિધ પાંચ જેટલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલતા સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં શિક્ષકની માફક વિદ્યાર્થીઓને ભૂગોળ સહિતના પ્રશ્નો પૂછ્યા હતા અને માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ રેન્જ આઈજીને આઈપીએસ, પીઆઈ, પીએસઆઈ, આઈજી, આર્મી, નેવી, પોલીસ વગેરે બનવા માટે શું કરવું જોઈએ તે સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. તમામ પ્રશ્નોના રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સંતોષકારક જવાબ આપી વિદ્યાર્થીઓને જરૂરી કઠોર પરિશ્રમ અને મહેનત કરવા જણાવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓને અપાતી તાલીમ અંગે પણ માહિતી મેળવી હતી.