દરેક શિવાલયોમાં ગુંજયો હર હર મહાદેવનો નાદ, દરેક શિવાલયોમાં શિવલિંગ અને મહાદેવને વિશેષ શણગાર કરાયો, ભક્તોએ શિવલિંગ ઉપર જળ-દૂધ અને બીલીપત્રનો અભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરી મોરબી : મોરબીમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તમામ શિવલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ભક્તોએ એકટાણા-ઉપવાસ કરીને ભોળીયાનાથની કૃપા મેળવવા શ્રાવણ માસની શરૂઆત થતા જ ભગવાનની શિવની પૂજા અર્ચના કરવાની શરૂઆત કરી હતી. જો કે આજે પ્રથમ સોમવારે દરેક શિવાલયોમાં શિવલિંગ અને મહાદેવને વિશેષ શણગાર કરાયો હતો અને ભક્તોએ શિવલિંગ ઉપર જળ-દૂધ અને બીલીપત્રનો અભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. મોરબીમાં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો સુંદર અવસર એટલે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા દરેક શિવભક્તો શિવભક્તિમાં તલ્લીન થઈ ગયા હતા. ભગવાન ભોળાનાથ પોતાના તથા પોતાના પરિવારને કાયમ સુધી સમૃદ્ધ રાખે તેવી મનોકામના સાથે મોટાભાગના ભક્તોએ શ્રાવણ માસની શરૂઆત થતા જ શિવની પૂજા કરી હતી. દરરોજના મોટાભાગના ભક્તો શિવાલયોમાં પગપાળા દર્શને જઈને પૂજા અર્ચના કરતા હતા. તેમાંય શ્રાવણ માસના સોમવારે ભોળાનાથની ભક્તિ કરવાનું અનેરું મહાત્મ્ય હોવાથી આજે પ્રથમ સોમવારે દરેક શિવાલયોમાં ભારે ભીડ સાથે હર હર મહાદેવનો નાદ ગુંજયો હતો. આજે પ્રથમ સોમવારે મોરબી નજીક આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, આગનેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર, શકર આશ્રમ, ત્રિલોકધામ સહિતના તમામ શિવ મંદિરોમાં આજે સવારથી ભક્તોની કતારો લાગ્યા બાદ ભક્તોએ શિવલિંગ ઉપર જળ-દૂધ અને બીલીપત્રનો અભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. જો કે શિવલિંગ અને મહાદેવને ફૂલો તેમજ અન્ય ચીજવસ્તુઓનો અદભૂત શ્રુગાર કરવામાં આવ્યો હતો. એકંદરે આજે પ્રથમ સોમવારે ભક્તો શિવમય બની ગયા હતા.