મોરબી : મોરબી ૧૮૧ ટીમે કુશળ કાઉન્સિલિંગ દ્વારા ઘરેથી બોલાચાલી થયા બાદ નીકળી ગયેલ અમદાવાદની કિશોરીનુ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જેને પગલે તેના પરિવારે અભયમ ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે મોરબી સરદાર બાગ બગીચામાં એક પીડિત કિશોરી છેલ્લા ત્રણ દિવસથી ગભરાયેલ બેઠી છે. તે કઈ પણ બોલતી નથી અને તે ખૂબ જ ગભરાયેલા છે. તેથી પિડીત કિશોરીને ૧૮૧ની ટીમની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ૧૮૧ ટીમ કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવા નો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કિશોરી ખુબ જ ગભરાયેલી હતી કિશોરીને સાંત્વના આપી અને પોતાની સમસ્યાના બાબતે પૂરતી મદદ કરવા ભરોશો અપાવેલ, ત્યારબાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેને જણાવેલ કે તેના પિતા મૃત્યુ પામ્યા અને તેમના માતા એ બીજા લગ્ન કરી લીધા છે. ત્યારબાદ કિશોરી એ જણાવેલ કે હું આને મારો નાનો ભાઈ બંને મારા દાદી સાથે અમદાવાદ રહીએ છીએ. વધુમાં કિશોરી એ જણાવેલ કે કામકાજ બાબતે તેમની દાદી વારંવાર ખીજાતા હતા અને અવારનવાર ઠપકો આપતા હતા અને ત્રણ દિવસ પૂર્વે દાદી સાથે તકરાર થતાં તેણીને ખોટું લાગી આવતા કંટાળીને ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ હતી અને મોરબી બસ દ્વારા આવી પહોંચી હતી. ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરીના દાદીનો ટેલીફોનીક સંપર્ક ન થતાં પરિવારના અન્ય સભ્યોનો કોન્ટેક્ટ કરેલ જેમાં તેના મોટા બાપુ સાથે વાત કરતા તેઓએ જણાવેલ કે ત્રણ દિવસથી અમારી જાણબહાર તેમની દિકરી કહ્યા વગર નીકળી ગઈ હતી તેમણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની દિકરી મળેલ નહીં તેમના પરિવારે ત્યાંના પોલીસ સ્ટેશન માં ગુમ થવાની ફરિયાદ પણ કરેલી છે.તેમના મોટા પપ્પાએ જણાવેલ કે તેમનો દીકરો વાંકાનેર એક હોસ્પિટલમાં કામ કરે છે અને વહુ સાથે વાંકાનેરમાં જ રહે છે તેનો સંપર્ક કરી કિશોરીના ભાઈ-ભાભી સાથે વાતચીત કરેલ અને કિશોરીને વાંકાનેર લઈ જઈ તેના ભાઈ ભાભીને શોપવામાં આવેલ. કિશોરીના પરિવારે તેમની દિકરીને સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.