નવયુગ સ્કૂલમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ પ્રિન્સિપાલ સહિતના સ્ટાફે સમય સુચકતા વાપરી તરત જ આગ પર કાબૂ મેળવી લીધો મોરબી : મોરબીની નવયુગ સ્કૂલમાં આજે સવારમાં અચાનક એક રૂમમાં આગ લાગી હતી. જો કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની તરત જ પ્રિન્સિપાલ સહિતના હાજર સ્ટાફે સમય સુચકતા વાપરી જાત મહેનતે જ શાળા સંચાલકોએ આગ ઓલવી નાખતા સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મોરબી ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ આજે શનાળા રોડ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ નવયુગ સ્કૂલના એક રૂમમાં વાયરીગમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સ્કૂલ મેનેજમેન્ટે પણ સ્કૂલમાં રહેલા અગ્નિ શામક સાધનો વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને મોટાભાગની આગ ઓલવી નાખી હતી. ફાયર બ્રિગેડે પહોંચ્યું ત્યારે માત્ર વર્ગખંડમાં ધુમાડો જ બચ્યો હતો. આમ છતાં ફાયર બ્રિગેડ સ્ટાફે ત્યાં પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. નોંધનીય છે કે નવયુગ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અગ્નિશનના સાધનોનો ઉપયોગ કરી આગને એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રસરતા અટકાવી નાખી આગ ઉપર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના થતા અટકી હતી.