મોરબી : ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે મોરબી તાલુકાના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ગામોમાં આ કેન્દ્ર હેઠળના આરોગ્ય સ્ટાફ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને લઈને સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. બાવરવાની સૂચના મુજબ આગામી સમયમાં મચ્છરજન્ય રોગચાળો ના વકરે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - બગથળાના મેડિકલ ઓફિસર ડો. હિરેન વાંસદળિયા અને સુપરવાઈઝર એચ. ઓ.પાંચોટિયાના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી ટીમ બનાવી આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી કરવામાં આવી છે. જેમાં ફીવર સર્વેની સાથે મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટે ઘરમાં વપરાશ માટે પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા, યોગ્ય સંભાળ રાખવી, નાકમા ભંગારના પાત્રોનો નિકાલ કરવો તથા વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું વગેરે બાબતે લોકોને સઘન આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ અબેટ કામગીરી, બીટીઆઈ તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે વોકળા, કૂવા, નાની ખેત તલાવડી વગેરેમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ મચ્છર ઉત્પતિ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. જેથી મચ્છરનો ઉપદ્રવ ના થાય અને મચ્છરજન્ય રોગચાળો ના વકરે. વધુમાં આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. કોટડીયા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આ ઝુંબેશમાં સહભાગી બનીને લોક સહકાર થકી મચ્છરજન્ય રોગોને ડામવા જણાવાયું હતું.