મોરબી : સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી વિશ્વપ્રસિદ્ધ અરવિંદ આશ્રમની મુલાકાત લઇ પ્રથમ ક્રમાંકે પ્રતિનિધિત્વ કરી સમગ્ર શાળા પરિવારનુ નામ રોશન કર્યું છે. રમત-ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા તાજેતરમાં મહર્ષિ અરવિંદ ઘોષની 150 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વક્તૃત્વ,નિબંધ અને ચિત્રકલાની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જિલ્લા કક્ષાની સ્પર્ધાએ પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. જેમાં સાર્થક વિદ્યામંદિરના રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની સમગ્ર ગુજરાતના માન અને ગૌરવમાં વધારો કર્યો છે. રાજ્યકક્ષાની દરેક સ્પર્ધાના ટોપ ટેન વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા પોંડીચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને વિશ્વપ્રસિદ્ધ ઓરોવીલે ફાઉન્ડેશનની મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ઓરોવીલે ફાઉન્ડેશનના ચીફ સેક્રેટરી અને રાજ્ય સરકારના સનદી અધિકારી ડો. જયંતિ રવિએ આ પ્રયાસને બિરદાવ્યો હતો. નોંધનીય છે કે ગાંધીનગરના DYDO તેજલ બેન ,ભરૂચના DYDO મિતલબેન ગવલી ,તાપીના DYDO અમૃતાબેન ગામીત ખેડાના PYDO યોગેશ મોદી તેમજ જીગર રાણા ના દેખરેખ હેઠળ દરેક વિજેતાઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રાહુલભાઈ ઝીંઝુવાડીયા મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પોતાની શિક્ષણ સેવા આપી રહ્યા છે. રાહુલભાઈના આ પ્રયત્નોમાં શાળાના સંચાલક કીશોરભાઈ શુકલ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી ઉત્તમ સાથ- સહકાર મળી રહ્યો છે. આ તકે શાળાના સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી શુભકામનાઓ આપવામાં આવી રહી છે.