વ્યાજખોરોએ 15 ટકા સુધી વ્યાજ વસુલવાની સાથે મકાન લખાવી લઈ કોરા ચેક પડાવી લીધા હોવાની રાવ મોરબી : મોરબીમાં જમીન મકાનની દલાલી કરી જીવન નિર્વાહ કરતા રવાપર રોડ ઉપર રહેતા અપંગ દંપતીએ અંગત જરૂરિયાત માટે ચાર વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ મુદ્દલ- વ્યાજ ચૂકવી દેવા છતાં વ્યાજખોરોએ બળજબરીથી આશરો છીનવી લઈ કોરા ચેક લખાવી બળજબરીથી પઠાણી ઉઘરાણી શરૂ કરતા આ મામલે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની દલાલી કરતા મીઠાભાઇ ગોવીંદભાઇ સોનગ્રાએ અંગત જરૂરિયાત માટે મોરબીના વજેપરમા રહેતા લાલાભાઇ ગોવીંદભાઇ રબારી, વાવડી રોડ ઉપર રહેતા લખમણભાઇ મેપાભાઇ રબારી, આંદનગરમાં રહેતા રાજુભાઇ બોરીચા અને પબુભા દરબાર પાસેથી અલગ અલગ સમયે લાખો રૂપિયા દૈનિક વ્યાજે લીધા હતા બાદમાં વ્યાજ સહીત મુદ્દલ કરતા વધુ રકમ ચૂકવવા છતાં આરોપીઓએ મીઠાભાઇનું મકાન લખાવી લેવાની સાથે કોરા ચેક ઉપર સહીઓ કરાવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કરતા આ મામલે મીઠાભાઇએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ચારેય વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી લાલાભાઇ ગોવીંદભાઇ રબારી, લખમણભાઇ મેપાભાઇ રબારી, રાજુભાઇ બોરીચા અને પબુભા દરબાર વિરુદ્ધ આઇપીસી કલમ 384,504,506(2),114 તેમજ ગુજરાત નાણાની ધીરધાર અધીનિયમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.