મોરબીમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં 2થી 6 મીમી વરસાદ વરસ્યો : નવલખી દરિયામાં કરંટ મોરબી : બિપોરજોય વાવાઝોડું આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ બંદર પાસે ટકરાય તેવી શક્યતા વચ્ચે ગુજરાતનો દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે, બીજી તરફ મોરબી જિલ્લામાં નવલખી બંદરે ભારે કરંટ વચ્ચે મોરબી શહેર જિલ્લામાં બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 2થી 6 મીમી વરસાદ વરસ્યો હતો. બિપોરજોય વાવઝોડું ટકરાઈ ત્યારે લોકોને બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. વેરી સેવર સાઇકલોનિક સ્ટોર્મ બિપરજોય વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું હાલમાં પોરબંદરથી દક્ષિણપશ્ચિમ દિશામાં 280 કિલોમીટર, દ્વારકાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 190 કિલોમીટર, જખૌ પોર્ટથી દક્ષિણ દિશામાં 140 કિલોમીટર, નલિયાથી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ દિશામાં 170 કિલોમીટર અને કરાચીથી દક્ષિણ દિશામાં 230 કિલોમીટર દૂર છે. હવામાન વભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન મોરબીના નવલખી બંદર પર દરિયામાં કરન્ટ સાથે પવનની ગતિમાં વધારો થયો છે. નવલખી બંદર અને તેની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને આજે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 6, ટંકારામાં 8 અને માળિયામાં 2 મીલીમીટર વરસાદ પડ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે.