આગાહીને ધ્યાનમાં બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા ખેડૂતોને અનુરોધ મોરબી: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. 7 જૂનથી 11 જૂન સુધી જિલ્લામાં વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને વિનંતી સહ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. આ માર્ગદર્શિકા અનુસાર તૈયાર થયેલા બાગાયતી પાકો સલામત સ્થળે ખસેડવા નાયબ બાગાયત નિયામકએ અનુરોધ કર્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 7 જૂન થી 11 જૂન સુધી જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે ધ્યાને લેતા મોરબી જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોને તૈયાર થયેલ ફળ અને શાકભાજી ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદન અવસ્થાના બાગાયતી પાકોનો સુરક્ષિત સંગ્રહ કરવા, બાગાયતી પાકોમાં પિયત ટાળવા. કેળ, પપૈયા દાડમ તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી. બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે, આગાહી દરમિયાન કોઈ પણ રાસાયણિક સેન્દ્રિય ખાતરો કે હોર્મોન્સના છંટકાવ કરવા નહિ, વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતાં રહેવું અને જરૂર જણાય તો ફુગનાશક અથવા જૈવિક દવાઓનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે