બેંગ્લોર એરપોર્ટ ઉપર ફ્લાઈટની ટીકીટ લઈ ટર્મિનલની અંદર મુસાફરો પાસેથી માંગતો હતો ભીખ મોરબી : બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન ઉપર તો ભીખારી જોવા મળતા જ હોય છે, પરંતુ એરપોર્ટમાં ટર્મિનલની અંદર વ્યવસ્થિત કપડાંમાં સજ્જ થઈ કોઈ વ્યક્તિ જો તમારી પાસે સોફેસ્ટિકેડે ભાષામાં ભીખ માગવા આવે તો ? આ વાત માન્યામાં ન આવે, પરંતુ બેંગલોર એરપોર્ટ પરથી પોલીસે આવા જ એક ભીખારીની ધરપકડ કરી છે જે ફ્લાઈટની ટિકિટ લઈને મુસાફરની માફક જ એરપોર્ટના ટર્મિનલમાં ઘૂસતો અને પછી પોતાના પિતા બીમાર છે, અને તેમની સારવાર માટે રૂપિયાની જરૂર છે તેવી ખોટી સ્ટોરી લોકો સામે ઉભી કરીને પૈસા માગતો હતો. આ જેન્ટલમેન ભીખારીની ધરપકડ કરવામાં આવી હતી, તેની ઓળખ વિઘ્નેશ તરીકે કરવામાં આવી છે જે બેંગલોર-ચેન્નઈ ફ્લાઈટની ટિકિટ લઈને એરપોર્ટના ટર્મિનલમાં દાખલ થયો હતો. મૂળ ચેન્નઈનો વિઘ્નેશ એકદમ સુવ્યવસ્થિત કપડાંમાં સુસજ્જ થઈને લોકો સાથે એવી સભ્ય ભાષામાં વાત કરતો હતો કે કોઈ કલ્પના પણ ના કરી શકે કે આ ભણેલો-ગણેલો અને જેન્ટલમેન લાગતો યુવક તેમને ઉલ્લુ બનાવીને ભીખ માગી રહ્યો છે. વિઘ્નેશ પકડાયો તે દિવસે તેણે કેટલાક લોકોને બાટલીમાં ઉતારીને તેમની પાસેથી અમુક હજાર રૂપિયા લઈ પણ લીધા હતા, પરંતુ અમુક પેસેન્જર્સને શંકા જતાં તેમણે આ અંગે સીઆઈએસએફને જાણ કરી હતી. ત્યારબાદ આ સજ્જન ભીખારીને પકડીને પોલીસના હવાલે કરી દેવાયો હતો, પરંતુ ધરપકડ બાદ વિઘ્નેશ ગણતરીના સમયમાં જ જામીન પર છૂટી ગયો હતો. પોલીસને શંકા છે કે વિઘ્નેશે અગાઉ પણ બેંગલોર એરપોર્ટ પર આ જ રીતે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા. બેંગલોર ઉપરાંત તે ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને દેશના અન્ય એરપોર્ટ્સ પર પણ આ જ પ્રકારની કરતૂત કરી ચૂક્યો છે. જોકે, હજુ સુધી કોઈએ આ ઠગ કમ ભીખારી સામે ફરિયાદ નથી નોંધાવી. એક સમયે વિઘ્નેશ બેંગલોરની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો, અને તેની પાસે 26 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પણ છે તેવું પોલીસે જણાવ્યું હતું. તેની પાસે આટલા બધા કાર્ડ કઈ રીતે આવ્યા તેની પણ તપાસ ચાલુ છે. 2022થી આ ધંધો કરતા વિઘ્નેશે અગાઉ એક પેસેન્જરને એવું કહીને ઉલ્લુ બનાવ્યો હતો કે તેનો સામાન ખોવાઈ ગયો છે, અને તેને જોબ ઈન્ટરવ્યૂ માટે તાત્કાલિક ફ્લાઈટ પકડવાની છે, આ સ્ટોરી ઉભી કરી વિઘ્નેશે તેની પાસેથી 8 હજાર રૂપિયા પડાવ્યા હતા. વિઘ્નેશની ધરપકડના સમાચાર આવ્યા બાદ બેંગલોરમાં સોશિયલ મીડિયા પર એરપોર્ટ પર ભીખ માગતા આવા ભીખારીના અલગ-અલગ કિસ્સા પણ લોકો શેર કરી રહ્યા છે. જેમાં કોઈએ માતા-પિતાના અંતિમ સંસ્કારમાં જવાનું હોવાથી તાત્કાલિક ફ્લાઈટ પકડવાની છે કે પછી પેરેન્ટ્સની અર્જન્ટ સર્જરી માટે રૂપિયાની જરૂર છે તેવું કહીને લોકો પાસેથી પૈસા લીધા હતા, અમુક કેસમાં તો નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા જવાનું છે તેવું કહીને પણ પેસેન્જર્સને ખંખેરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ પાછળ વિઘ્નેશની કોઈ લિંક છે કે કેમ તે પણ પોલીસ ચકાસી રહી છે. વિઘ્નેશે પોતાના જેવા સોફેસ્ટિકેડેટ ભીખારીઓની કોઈ ગેંગ બનાવી છે કે નહીં તે એંગલ પર પણ પોલીસનું ઈન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે. જોકે, વિઘ્નેશ હાલ જામીન પર બહાર છે.