લાંબા સમયથી તૈયાર બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવાનું મુહૂર્ત આવ્યું મોરબી : મોરબી શહેરમાં અંદાજે પાંચેક કરોડના ખર્ચે તૈયાર થયેલ બસસ્ટેન્ડ લોકાર્પણ ન કરવામાં આવતા તડકે સેકાતા મુસાફરોની વેદના સમજી કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવા પ્રયાસ કરાયા બાદ અંતે સરકાર સફાળી જાગી છે અને આગામી 18મીએ ગૃહમંત્રીના હસ્તે બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવા મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ આગામી તા.18ને ગુરુવારે સવારે 10.30 કલાકે રાજ્યના ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને પ્રભારીમંત્રી પ્રફુલ પાનસેરિયા તેમજ મોરબી જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં મોરબીના નવનિર્મિત નવા બસસ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહ મંત્રી અને પ્રભારીમંત્રીની હાજરીમાં યોજનાર આ લોકાર્પણ સમારોહ બાદ ગૃહમંત્રી મોરબી ભાજપના કાર્યકરો સાથે મિટિંગ યોજનાર હોવાનું પણ જાણવા મળે છે.