મોરબીઃ મોરબી જિલ્લાના શિક્ષકોનો દસ વર્ષ જૂનો જીપીએફનો પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોથી ઉકેલાયો છે. જેથી શિક્ષકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. નવ રચિત મોરબી જિલ્લો વર્ષ- 2013માં થયો ત્યારથી આજ દિન સુધી શિક્ષકોના જી.પી.એફ. એકાઉન્ટ મોરબી, માળીયા, વાંકાનેર અને ટંકારા તાલુકાના મૂળ રાજકોટ જિલ્લામાં હળવદના સુરેન્દ્રનગર જિલ્લામાં અને આમરણ પંથકના ગામોના જામનગર જિલ્લામાં ચાલતા હોય પાર્ટ ફાઈનલ કે ફાઈનલ ઉપાડ કરવામાં તેમજ જી.પી.એફ. કપાત કરવામાં ઘણી બધી વહીવટી મુશ્કેલીઓ પડતી હતી. શિક્ષકોને ઘણું બધું નાણાંકીય નુકશાન થતું હતું. બ્રિજેશભાઈ મેરજાએ પંચાયત મંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં અનેક વિકટ પ્રશ્નો જેવા કે નવી પંચાયત બનાવવવી, રેવન્યુ રકબાના પ્રશ્નો, તમામ તાલુકાઓમાં તાલુકા વિકાસ અધિકારીઓની નિમણૂક કરવી, તલાટી કમ મંત્રીઓના ફૂલ પગારના કરવાની સાથે સાથે છેલ્લા દસ વર્ષથી નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના જીપીએફ એકાઉન્ટ મોરબી જિલ્લામાં જ ઓપન કરવાની વર્ષો જૂની પેચીદો પ્રશ્ન હલ કરવાની કાર્યવાહી પંચાયત વિભાગ, જિલ્લા તાલુકાની શિક્ષણ શાખાના અધિકારી કર્મચારીઓની મદદથી નવ રચિત મોરબી જિલ્લાના જી.પી.એફ.એકાઉન્ટ મોરબીમાં ઓપન કરવાની કામગીરી બ્રિજેશભાઈ મેરજાના કાર્યકાળમાં હાથ ધરવામાં આવી હતી અને મોરબીમાં જ જીપીએફ એકાઉન્ટ ઓપન થઈ ગયા હતા પરંતુ માર્ચ-2023 સુધીના સમગ્ર વર્ષના વ્યાજ સહિતના હિસાબો વ્યવસ્થિત રહે એ માટે માર્ચ-23 સુધીની કપાત જુના જિલ્લાઓમાં ચાલુ રાખેલ હતી પણ હવે નવા નાણાંકીય વર્ષ 2023/24 એટલે કે એપ્રિલથી જ શિક્ષકોની જીપીએફ કપાત જમા મોરબી જિલ્લામાં જ કરવામાં આવ્યા છે, આમ વર્ષો જૂનો જીપીએફનો પ્રશ્ન પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાની સૂઝબૂઝ, કુનેહ અને વહીવટી પારંગતતાના કારણે હલ થયો હોય શિક્ષકોએ પૂર્વ પંચાયત મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. જેનાં પ્રત્યુત્તરમાં બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાથી મંત્રીઓના સહયોગથી આ પ્રશ્ન ઉકેલવામાં મને સફળતા મળી છે.