હવે જેલમાં આ કેસમાં જયસુખ પટેલ સહિતના 7 આરોપીઓ વધ્યા મોરબી : મોરબીમાં 135 લોકોનો જીવ લેનારી ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 10માંથી 3 આરોપીઓના જામીન મંજુર થઈ ગયા છે. હવે આ કેસના જયસુખ પટેલના 7 આરોપીઓ જેલમાં વધ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30 ઓક્ટોબરની ગોઝારી સાંજે જયારે મોરબીના સહેલાણીઓ અજંતા - ઓરેવા કંપનીએ રીનોવેશન કરેલા ઝૂલતા પુલ ઉપર ઉમળકાભેર ફરવા માટે ગયા ત્યારે કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી કરૂણ કંપાવનારી દુર્ઘટના સર્જાતા સહેલાણીઓથી હકડેઠઠ ભરેલો ઐતિહાસિક ઝૂલતો એક ઝાટકે તૂટી પડતા 135 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજંતા ઓરવા કંપનીના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના પ્રકાશભાઈ પરમાર, દેવાંગ પ્રકાશભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ સહિતના 9 આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304,308,336,337,338 અને 114 મુજબ ગુન્હો દાખલ કરાયો હતો. ત્યારબાદ ઓરેવાના માલિક જયસુખ પટેલ સામે પણ ગુનો દાખક કરાયો હતો. આ કેસમાં કુલ 10 આરોપીઓ જેલમાં બંધ હતા. પણ હવે મહાદેવભાઈ લાખાભાઈ સોલંકી, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ નામના આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા છે.