રાજકોટના 3, મોરબીના 2 ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો, પેપરની ગાસડીઓ હટાવવા 2 જેસીબી, 1 હિટાચી અને અનેક લોડરની મદદ લેવી પડી મોરબી : મોરબી નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપરમિલમાં લાગેલી આગ 15 કલાક બાદ પણ યથાવત રહી છે, આજે સવારે 7.30 વાગ્યા સુધીના અહેવાલ મુજબ હજુ પણ આગ ધૂંધવાઈ રહી છે, આ વિકરાળ આગને બુઝાવવા માટે રાજકોટના 3, મોરબીના 2 ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો ચલાવી પેપરની ગાસડીઓ હટાવવા 2 જેસીબી, 1 હિટાચી અને અનેક લોડરની મદદ લેવાઈ રહી છે. મોરબીના નવાગામ રોડ ઉપર આવેલ સોમનાથ પેપર મિલમાં ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગ્યા બાદ શરૂઆતમાં મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ આગ વિકરાળ હોય રાજકોટ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી. આ લખાય છે ત્યારે સવારે સવા સાત વાગ્યે આગ હજુ યથાવત હોવાનું મોરબી ફાયર બ્રિગેડના ડાકીભાઈએ જણાવ્યું હતું. વધુમાં સોમનાથ પેપરમિલના ખુલ્લા મેદાનમાં પડેલ કાગળની મોટી મોટી ગાંસડીઓમા લાગેલી આગમાં સતત 15 કલાકથી રાજકોટના 3, મોરબીના 2 ફાયર ફાયટર દ્વારા સતત પાણીનો મારો ચલાવવામા આવી રહ્યો છે અને ભારે વજન વાળી પેપરની ગાસડીઓ હટાવવા માટે 2 જેસીબી, 1 હિટાચી અને અનેક લોડરની મદદ લેવી પડી હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, હાલ આગ કાબુમાં છે પરંતુ કાગળની ગાસડીઓમાં આગ હજુ ધૂંધવાઈ રહી હોય સંપૂર્ણ આગ બુઝાવવામાં હજુ પણ ચારેક કલાકનો સમય લાગે તેમ હોવાનું જાણવા મળે છે.