ગમે ત્યાંથી ગમે ત્યાં જાવ ભાડું રૂ.10, પાલિકા બે રૂટ ઉપર બસ દોડાવશે મોરબી : મોરબી નગરપાલિકાએ આખરે ફરી બંધ પડેલી સીટી બસ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં કોન્ટ્રાક્ટર પાસેથી નગરપાલિકાએ સીટી બસ પોતાના હસ્તક લઈ લીધી છે અને આવતીકાલથી મોરબી નગરપાલિકા દ્વારા હવે સીટી બસ શરૂ કરાશે. હાલ ચાર બસ બે રૂટ ઉપર ચાલવવાનું નક્કી કરાયું છે. મોરબી નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર વચ્ચેના ગજગ્રાહને કારણે છેલ્લા થોડા સમયમાં અઠવાડિયામાં બીજી વખત લોકોમાં સસ્તા ભાડાંની ગણાતી સીટી બસ સેવા બંધ પડી હતી. કોન્ટ્રાક્ટરનું કહેવું હતું કે, નગરપાલિકાએ તેનું બાકી પેમેન્ટ અટકાવી દીધું હતું એટલે સીએનજી ગેસના ભાડાંના પણ પૈસા ન હોવાથી આ સીટી બસ બંધ કરવી પડી છે જ્યારે મોરબી નગરપાલિકાએ કોન્ટ્રાકટર મનમાની ચલાવતો હોવાનું કહી તેનો કોન્ટ્રાકટ જ છીનવી લઈને સીટી બસો પોતાની હસ્તક લીધી હતી અને પાલિકાએ પોતાના દ્વારા ફરીથી સીટી બસ શરૂ કરાશે. જેમાં મોરબી શહેરનો સીટી વિસ્તારમાં આવતા બે રૂટ ઉપર બે-બે બસ દોડશે. જેમાં ગાંધીચોકથી સામાંકાંઠાના ત્રાજપર ચાર સરતા અને ગાંધીચોકથી શનાળા સુધી આ બે રૂટ ઉપર દર અડધી કલાકે બસ દોડશે.આ માટે આઠ ડ્રાઇવર અને આઠ કંડકટરની નિમણૂક કરવામાં આવી છે. અગાઉ 11 રૂટ ચાલુ હતા તેમાં કોન્ટ્રાકટર બીલમાં વધુ મૂક્યું અને જોગવાઇમાં પણ રૂપિયા વધુ ચૂકવવાના હોવાથી નગરપાલિકાએ એ કોન્ટ્રાકટ રદ કર્યા છે. અગાઉ રૂ.5 થી 10નું ભાંડું હતું. પણ હવે કોઈપણ જગ્યા માટે રૂ.10નું ભાંડું નિર્ધારિત કરાયું છે અને રવિવારે રજા રહેશે તેમ પાલિકામાં સીટી બસનું કાર્ય સંભાળતા હિતેશ દવેએ જણાવ્યું હતું.