સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ મોરબી : અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹ ૫૫૮૦ કરોડની જોગવાઇ કરી છે. જેમાં છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે ₹૫ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજીત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા ₹૧૩૪૦ કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સૂરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા માટે ₹૫૮ કરોડની જોગવાઇ. બૌધ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજના હેઠળ અંદાજે ૫૦ હજાર લાભાર્થીઓ માટે ₹૬૦ કરોડની જોગવાઇ. દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ આપવા ₹૫૨ કરોડની જોગવાઈ. પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો માટે માસિક સહાય આપવા માટે ₹૭૩ કરોડની જોગવાઇ પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન સમયે ₹૨ લાખની સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ કરાઈ છે. સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાનથી આવી પડેલ મુશ્કેલભરી પરિસ્થિતિમાં કુટુંબને સહાય માટે ₹૨૦ કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિ માટે ડૉ.સવિતા આંબેડકર આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં ₹૨.૫ લાખ સહાય આપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની કન્યાઓને કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ સહાય માટે ₹૫૪ કરોડની જોગવાઇ. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ₹૭ કરોડની જોગવાઇ. સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના હેઠળ ₹૧૦ કરોડની જોગવાઇ કરાઈ છે. પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે ૧૦ લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને ₹૪ હજાર થી ₹૨૦ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે ₹૫૬૨ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ ૧ થી ૧૦ માં અભ્યાસ કરતા અંદાજે ૪૦ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ₹૩૭૬ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૩૭ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૩૩૪ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે ૧ લાખ ૧૦ હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે ₹૩૨૪ કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે ૬૦૦ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે ₹૮૪ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે ₹૨૧ કરોડની જોગવાઇ. ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે ૨ લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત ₹૭૫ કરોડની જોગવાઇ કરાઈ છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા ₹૨ કરોડની જોગવાઇ. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે ₹૧ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા ₹૧ કરોડની જોગવાઇ. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે અને યુવાનોને સ્વરોજગારી માટે અમલમાં મૂકાયેલ વિવિધ યોજનાઓ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને દિવ્યાંગોના શૈક્ષણિક, આર્થિક અને સામાજિક વિકાસ માટે સરકારે ૯ જેટલા ખાસ નિગમોની રચના કરી છે. જેના મારફત લાભાર્થીઓને લોન આપવા માટે ₹૧૬૬ કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે સાધનો પૂરા પાડવા ₹૫૬ કરોડની જોગવાઈ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે ₹૨૨૨ કરોડની જોગવાઇ. છોટાઉદેપુર, મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં ડૉ.આંબેડકર ભવન બાંધવા માટે ₹૫ કરોડની જોગવાઈ. વિવિધ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા માટે ₹૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.