મોરબી: આજરોજ 'રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ'ના ઉપલક્ષમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની સૂચના તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)માં આવતી રફાળેશ્વર પ્રાથમિક શાળા તેમજ અન્ય વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાબતે વિસ્તૃત માર્ગદર્શન આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયાએ આપ્યું હતું. કરમિયાની બીમારીના કિસ્સામાં વ્યક્તિને ક્યાં પ્રકારની પ્રાથમિક સરવાર આપવી જોઈએ તે અંગે જણાવવામાં આવ્યું હતું. આપણી આસપાસ કોઈપણ બાળકો કે વ્યક્તિને આ પ્રકારની બીમારી થઈ ગઈ હોય તો તેને યોગ્ય સારવાર મળી રહે તે માટે આપણે ક્યાં પ્રકારના પ્રયત્નો કરીયે જેથી તેના સ્વાસ્થ સુધરે તે અંગે માહિતી આપવામાં આવી હતી તથા કરમિયાની બીમારીના લક્ષણો પેટમાં દુઃખાવો થવો, ખોરાકનો પાચન ન થવો વગેરે લક્ષણો વિશે જણાવવામાં આવ્યું હતું. કરમિયાના રોગ થી બચવા માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બાળકોને જમતા પહેલા હાથ ધોવા, રાંધતા પહેલા શાકભાજીને સ્વચ્છ કરવા, કૃમિ ચેપ ધરાવતા પ્રાણીઓથી દૂર રહેવું તે અંગે ઉપસ્થિત રફાળેશ્વર શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તા દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓ એવા દિલીપભાઈ દલસાણીયા, દીપકભાઈ વ્યાસ, અંજુબેન જોશી, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયા દ્વારા જાતે દવા પીને બાળકોને ગોળી ખવડાવી હતી જેથી બાળકોમાં દવા પીવા બાબતે હકારાત્મકતા આવે. કાર્યક્રમને સફળ બનાવવા રફાળેશ્વર પ્રાથમિક શાળાના શિક્ષકોએ મદદ કરી હતી.