મેટલના પુનઃઉપયોગને કારણે વાહનના ભાગોની કિંમત 30 ટકા ઘટી શકે છે : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સંપૂર્ણ યોજના અંગે આપી માહિતી મોરબી : આવનારા સમયમાં કાર સસ્તી થઈ શકે છે. આ કોઈ આશ્ચર્યની વાત નથી, પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગેની સંપૂર્ણ યોજના જણાવી છે. ગડકરીએ જણાવ્યું કે મેટલના પુનઃઉપયોગને કારણે વાહનના ભાગોની કિંમત 30 ટકા ઘટી શકે છે. તેનાથી ઓટોમોબાઈલ ઉદ્યોગની નિકાસની શક્યતાઓ મજબૂત થશે. ગડકરીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મેટલ રિસાયક્લિંગ પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું કે સરકારે ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ બમણું કરીને 15 લાખ કરોડ રૂપિયા કરવાનું અને પાંચ કરોડ નવી નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કે, ગડકરીએ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સમયમર્યાદાનો ઉલ્લેખ કર્યો નથી. ભારત 2022માં જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું વાહન બજાર બની ગયો. ગડકરીએ જણાવ્યું કે, દેશમાં હાલમાં તાંબુ, એલ્યુમિનિયમ અને સ્ટીલની અછત છે, પરંતુ વિદેશી કંપનીઓ સાથે મળીને મેટલ રિસાયક્લિંગ દ્વારા આ સમસ્યા દૂર કરી શકાય છે. તેમણે જણાવ્યું કે, આપણે તૈયાર વાહન ઉત્પાદનોની કિંમત ઘટાડવા માટે મેટલ રિસાયક્લિંગને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ રીતે અમે વધુ નિકાસ કરી શકીશું. આ જ કારણ છે કે સરકાર જૂના વાહનોને સ્ક્રેપમાં બદલવાની નીતિને પ્રોત્સાહન આપી રહી છે. વધુ સ્ક્રેપ રાખવાથી વાહનના સાધનોનો ખર્ચ 30 ટકા સુધી બચાવી શકાય છે. મહારાષ્ટ્રમાં વર્ધા, સાંગલી અને કોલ્હાપુર ખાતે સૂચિત ડ્રાય પોર્ટમાં મોટા સ્ક્રેપ પ્લાન્ટ સ્થાપવા માટે વાહન ઉત્પાદકોને આમંત્રિત કરતાં તેમણે જણાવ્યું કે તેઓને ત્યાં ઘણી રાહતો પણ મળશે. ગડકરીએ જણાવ્યું કે સરકાર સ્ક્રેપની વધુ આયાતને પ્રોત્સાહિત કરવા માટે બધું જ કરશે. આ સાથે તેમણે જણાવ્યું કે આગામી નાણાકીય વર્ષમાં લગભગ નવ લાખ જૂના સરકારી વાહનોને સ્ક્રેપમાં ફેરવી દેવામાં આવશે.