મોરબી : મોરબીના ધારાસભ્ય અને ભાજપ પક્ષને મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પરિવારને ન્યાય અપાવવાની ઇચ્છા શક્તિ હોય તો જનરલ બોર્ડમાં પાલિકા સુપર સિડ કરવાનો બહુમતીએ ઠરાવ કરાવે તેમ કોંગી આગેવાન મહેશ રાજ્યગુરુએ જણાવ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવ્યું છે કે મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની અણઆવડતને કારણે અને કાયદાની ઉપરવટ થઇ ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ જનરલ બોર્ડની મજૂરી વગર પ્રાઇવેટ કંપનીને આપીને વહીવટી અણઆવડત દર્શાવેલ છે. ત્યારે અચાનક કોઇ પણ જાતની તપાસ કર્યા વગર ઝૂલતા પૂલને પ્રજા માટે ખુલ્લો મૂકી ભયંકર બેજવાબદારી અને ગેર જવાબદારી બતાવેલ છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે ગુજરાત હાઇકોર્ટ મારફત સરકારને આ ગોઝારી ઘટનામાં પાલિકાના જવાબદાર અઘિકારી પદાધિકારી સામે કડક પગલાં લેવામાં આવશે કે કેમ ? ગુજરાત સરકારના વકીલ દ્વારા કોર્ટ માં એવું કહેવામાં આવ્યું કે સરકારે મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવાની સૈદ્ધાંતિક મજૂરી આપી દીધેલ છે. આમ સરકારે પાલિકાને નોટિસ પાઠવી છે ત્યારે મોરબીના ધારાસભ્ય પણ એક સરકારના જ પ્રતિનિધિ છે તો તેમને પોતાના જ પક્ષના ચૂંટાયેલ ૫૨ને ૫૨ સભ્ય ને સૂચના આપવી જોઈ કે તારીખ ૨૩/૧/૨૦૨૩ ના રોજ મળનાર જનરલ બોર્ડ માં નગરપાલિકા કામ કરવા માં નિસ્ફળ ગયેલ છે અને ગોઝારી ઘટના ની જવાબદારી સ્વીકારી નગરપાલિકા સુપરસિડ કરીએ છીએ. તેવો ઠરાવ કરાવીને સરકારમાં મોકલવા આગળ આવવું જોઇએ. કારણ કે મોરબી ઝુલતા પૂલની ગોઝારી ઘટનાની જવાબદારી પાલિકાની જ કહેવાય અને ભોગ બનનાર પરિવારને તોજ સાચો ન્યાય મળ્યો કહેવાશે.