પ્રસૂતિ સંબંધિત આશરે ૪૮ લાખથી વધુ ઈમરજન્સી કેસ, રોડ અકસ્માત સંબંધિત આશરે ૧૭ લાખથી વધુ ઈમરજન્સી કેસમાં તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડાઇ ૧૩ લાખથી વધુ લોકોને અત્યંત કટોકટીની પળોમાં સારવાર પૂરી પાડી જીવ બચાવાયો મોરબી : રાજ્યનાં નાગરિકોના આરોગ્યની કાળજી માટે તત્પર રાજ્ય સરકારે ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ની સેવાને આજે વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ જ્યારે માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોચાડવામાં આવતા હતા, તેની સામે આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનતા લોકો માટે ‘૧૦૮ એમ્બ્યુલન્સ સેવા’ આશીર્વાદ સમાન બની છે. રાજ્યમાં અકસ્માત કે આપત્તિનાં સમયે ઇજાગ્રસ્ત-બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજન હેઠળ થયો હતો. ૧૦૮ સેવાએ ગુજરાતમાં ૧૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે. ૧૦૮ એમ્બ્યુલન્સમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન સાથે ટેકનોલોજીનો પણ સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. ૧૦૮ સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા નવેમ્બર-૨૦૨૨ સુધીમાં રાજ્યભરમાંથી લગભગ ૧ કરોડ ૪૨ લાખ ૧૪ હજારથી પણ વધુ ઇમરજન્સી હેન્ડલ કરીને જરૂરિયાતમંદને તાત્કાલિક આરોગ્ય સેવા પહોંચાડી છે. આ ઉપરાંત ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રેગ્નન્સી સંબંધિત કેસમાં ૪૮ લાખ ૩૩ હજારથી પણ વધુ ઈમર્જન્સી, રોડ અકસ્માત સંબંધિત ૧૭ લાખ ૫૫ હજારથી વધુ ઈમર્જન્સી તેમજ ૧૩ લાખ ૧૩ હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. વધુમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ ટેક્નીશીયન દ્વારા ૭૯,૬૩૧ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૫,૨૪૭ મહિલાઓની સ્થળ પર જ સલામત પ્રસૂતિ કરાવીને ઉત્તમ આરોગ્ય સેવાનો દાખલો પૂરો પાડ્યો છે. તેમ ૧૦૮ ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસરની યાદીમાં જણાવાયું છે. ટેકનોલોજીનાં માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ ગુજરાત” નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરાઈ છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે. માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૦ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. હરહંમેશ નવતર અભિગમો થકી અન્યોને રાહ ચીંધતા ગુજરાત રાજ્યની યશકલગીમાં તાજેતરમાં જ વધારો થયો છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા કટોકટીની પળોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં દેશની પ્રથમ એર એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં પણ સૌથી પહેલાં પહોંચીને ૧૦૮ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવાયા છે.