નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ શપથ લીધા મોરબી : 156 સીટો સાથે ગુજરાતમાં ઐતિહાસિક બહુમતી સાથે આજે ભાજપની નવી સરકારની શપથવિધિ સમારોહ યોજાયો હતો. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓને રાજયપાલે શપથ લેવડાવ્યા હતા. જોકે નવા મંત્રીમંડળમાં મોરબી જિલ્લામાંથી એક પણ ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ગુજરાતના મંત્રીમંડળમાં મોરબી જિલ્લામાંથી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના નામોની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ મોરબી જિલ્લાના એક પણ ધારાસભ્યનો હાલ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે હળવદ બેઠકના પ્રકાશ વરમોરાનું નામ પણ મંત્રી તરીકે હોટ ફેવરિટ મનાતું હતું. પરંતુ તેમનો પણ હાલના મંત્રીમડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આજના શપથવિધિ સમારોહમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ઉપરાંત 8 કેબિનેટ અને 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લીધા હતા. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા, મુળુભાઇ બેરા, કુબેર ટિંડૉર અને ભાનુબેન બાબરીયાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય કક્ષામંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે હર્ષ સંઘવી, જગદીશ પંચાલે શપથ લીધા હતાં.જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પરષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફૂલ પાંસેરીયા, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઇ હળપતિએ શપથ લીધા હતા.