લોહાણા સમાજને પ્રતિનિધિત્વ અપાશે : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રકાશ વરમોરા પણ મંત્રી પદની રેસમાં મોરબી : પ્રચંડ બહુમતી સાથે ગુજરાતની ગાદી ઉપર ભાજપ સત્તાધીશ બનતા ભુપેન્દ્રભાઈ પટેલને ફરી મુખ્યમંત્રી બનાવવા જાહેરાત થયા બાદ સમાજના તમામ વર્ગને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ગોઠવણ વચ્ચે વાંકાનેર બેઠક ઉપર વિજેતા બનેલા લોહાણા સમાજના જીતુભાઇ સોમાણી અને હળવદ બેઠક ઉપરથી વિજેતા બનેલા પ્રકાશભાઈ વરમોરાને મંત્રી પદ મળે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપને પ્રચંડ બહુમતી મળી છે ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલની સતાવાર જાહેરાત થયા બાદ મંત્રી મંડળમાં તમામ સમાજને સ્થાન મળે તે માટે કમલમ ખાતે ગંભીરતા પૂર્વક ચર્ચા વિચારણા ચાલી રહી છે. દરમિયાન ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્રભાઈ સરકારના નવા મંત્રીમંડળમાં મોરબી જિલ્લામાંથી વાંકાનેર બેઠક ઉપરથી વિજેતા બનેલા જીતુભાઈ સોમણીને સ્થાન આપી લોહાણા સમાજને પ્રતિનિધિત્વ આપવાની સાથે હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપરથી વિજેતા બનેલા અગ્રણી ઉદ્યોગપતિ પ્રકાશભાઈ વરમોરાને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.