મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડીમાંના મંદિર દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 10000 ફૂલસ્કેપ બુકનું વિતરણ કરાયું છે. જેમાં માળીયા તાલુકાના ખીરસરા, વર્ષાઅમેડી મોટા દહીંસરા કુમાર અને કન્યા શાળા,વિવેકાનંદનગર,ક્રિષ્નાનગર, મોરબીની વિકાસ વિદ્યાલય, પ્રાયોગિક શાળા, મિડલ સ્કૂલ વગેરે શાળાઓમાં દરેક વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ ફૂલસ્કેપ નોટબુક અર્પણ કરેલ છે માધાપરવાડી કુમાર અને કન્યા શાળામાં તેમજ અન્ય શાળાઓમાં હવે પછી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યા ગ્રહણ કરી આ પુણ્યકકાર્યના તમામ સહયોગીઓ ની સેવાકીય પ્રવૃત્તિઓને ખરા અર્થમાં સાર્થક કરશે એવી ખાત્રી દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આપી હતી અને તમામ દાતાઓનો વિદ્યાર્થીઓ વતી અને શાળા પરિવાર વતી આભાર પ્રગટ કર્યો હતો. આ મંદિર દ્વારા રાહતદરે દવાખાનું, દશ રૂપિયાના ટોકન પર દવા ફ્રી આપવી, દરરોજ પચાસ મણ લીલું ઘાસ ગાયોને ખવડાવવું, દર મહિને દશ મણ ચણ પંખીઓને નાખવી, દર રવિવારે અને મંગળવારે સવા મણ લાપસી ગુંદી-ગાંઠીયાની પ્રસાદ આપવો,દર વર્ષે નવરાત્રી અને ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં માંતા-પિતા વગરની અગિયાર નિરાધાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. દરેક દીકરીને સોના-ચાંદીના ઘરેણાં સહિત રૂપિયા અઢી લાખનો કરિયાવર આપવામાં આવે છે. આમ મેલડી માઁની કૃપાથી વર્ષ દરમ્યાન અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ પ્રવૃત્તિઓમાં ઘનુભા ભીખુભા જાડેજા, શૈલેષકુમાર બચુભાઈ જાની વિનુભાઈ ડાંગર,રઘુવીરસિંહ ઝાલા,રમેશભાઈ પટેલ,ધીરુભા જાડેજા,રેલવેના એલ.પી.યાદવ વગેરે તન,મન અને ધનથી સેવા પૂરી પાડે છે.