રાહત કમિશનરે ઘટનાસ્થળેની મુલાકાત લઈ હવે કોઈ મિસિંગ ન હોવાથી રાહત કાર્ય પૂર્ણ કર્યાની જાહેરાત કરી તમામ દળની ટીમો તથા સ્થાનિક લોકો સહિત તમામનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો મોરબી : મોરબી ખાતે જુલતો પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટના બાદ સતત પાંચ દિવસથી એસ.ડી.આર.એફ., એન.ડી.આર.એફ, આર્મી, નેવી, ફાયરબ્રિગેડ સહિતની રાહત તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી અનેક દળોની ટીમો રાહત કામગીરી માટે તથા સર્ચ ઓપરેશન માટે તૈનાત હતી. આજે સતત પાંચમા દિવસે નદીમાં રેસ્ક્યું ઓપરેશન ચાલુ રખાયું હતું. જેમાં કોઈ લાપત્તા વ્યક્તિઓ ના રેહતા આજે મોડી સાંજે ઝૂલતા પુલ દુર્ઘટનાનું રેસ્કયું ઓપરેશન સત્તાવાર પૂર્ણ જાહેર કરાયું હતું. મોરબીમાં આજે કલેકટર કચેરી ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી દરેક દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં હર્ષદ પટેલને આ સર્ચ ઓપરેશન સત્તાવાર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સતત પાંચ દિવસ સુધી તમામ ટીમો દ્વારા અંડર ગ્રાઉન્ડ કેમેરા, ડીપ ડાઈવર તેમજ સોનાર જેવા અત્યાધુનિક ટેકનોલોજીના સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં તૈનાત તમામ દળના ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા પરથી હવે આ સર્ચ ઓપરેશન પૂર્ણ જાહેર કરવો જરૂરી જણાતાં આ સર્ચ ઓપરેશનને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં લોકલ ફાયર બ્રિગેડ તેમજ એસ.ડી.આર.એફ. અને એન. ડી.આર.એફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ આ તમામ દળની ટીમોનો તેમજ મોરબીની જાહેર જનતા તરવૈયાઓ તેમજ મીડિયા સહિત જેમણે આ દુર્ઘટના અન્વયે કોઈપણ સહયોગ આપ્યો છે તેમનો જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો. તંત્રને લાપત્તા વ્યક્તિની મળેલી માહિતી પોલીસ તપાસમાં ખોટી નીકળી મોરબી જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી મળી હતી તેની આજે પોલીસ દ્વારા ખરાઈ કરતા આ ફ્રોડ કોલ હોવાનું સાબિત થયું છે. હવે સત્તાવાર રીતે કોઈ મીસિંગ નથી. જ્યારે રાહત કમિશનર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે તેમને બચાવ કાર્યમાં જોડાયેલી તમામ ટીમો પાસેથી વિગતો મેળવી છે. આજે નદીના ડેપ્થમાં અદ્યતન ટેકનોલોજી સાથેના કેમેરા અને સાધનો સાથે તરવૈયાઓ સર્ચ ઓપરેશન કર્યું હતું. હવે કોઈ મિસીંગ ના હોવાથી આ સમગ્ર બચાવ કાર્ય પૂર્ણ જાહેર કરાયું છે. છેલ્લા 3 દિવસથી કોઈ ડેડબોડી મળી નથી..આજે અમુક મોબાઈલ અને અન્ય વસ્તુઓ મળી છે 30 ઓકટોબરે સાંજે ઝૂલતા પુલ તૂટી જવાથી સેકડો લોકો નીચે મચ્છુ નદીના પડી ગયા હતા. આ ઘટનામાં બચાવ કાર્યમાં સ્થાનિક લોકોની સાથે તંત્રે આર્મી, નેવી, એરફોર્સ, NDRF, SDRF અને ફાયર બ્રિગેડની ટીમો પણ અત્યાધુનિક સાધનો સાથે બચાવ કાર્યમાં લાગી હતી. જેમાં દુર્ઘટનાની રાત્રિ અને બીજા દિવસે બપોર સુધીમાં કુલ 134 મૃતદેહો નદીમાંથી મળ્યા હતા અને એક વ્યક્તિનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુ આંક 135 થયો હતો. આજે પાંચમાં દિવસે પણ બચાવ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જોકે 31 ઓક્ટોમ્બર સાંજ સુધી મૃતદેહો મળ્યા હતા. ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી કોઈ જ ડેડબોડી મળી નથી. તેમજ બે વ્યક્તિ મિસિંગ હોવાની જે માહિતી કંટ્રોલ રૂમમાં મળી હતી તેની ખરાઈ કર્યા તે માહિતી ખોટી નીકળી હોવાનું તંત્રે જણાવ્યું છે.