મોરબીમાં પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું, પાંચ માસ પૂર્વે જ સંસાર શરુ કરનાર યુગલના મોતથી બંને પરિવાર શોકમાં ગરકાવ મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં પત્નીના ઘટના સ્થળે જ મૃત્યુ બાદ રાજકોટના સોફ્ટવેર એન્જીનીયરે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. જેથી આ ગોઝારી ઘટનાનો મૃત્યુઆંક વધીને 135 થયો છે. રાજકોટની અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઈટ્સમાં રહેતા અને બેંગ્લોર ખાતે સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતા હર્ષભાઈ બટુકભાઈ ઝાલાવડિયા ઉ.26 અને પત્ની મીરાબેન ઉ.24 પરિવાર સાથે મોરબી માસીયાઈ ભાઈના ઘરે ગયા હતા ત્યાં આગ્રહ કરતા રોકાણ કર્યું હતું અને સાંજે ઝુલતો પુલ જોવા ગયા હતા પુલ તૂટતાં મીરાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જયારે હર્ષભાઈને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા હતા આજે સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 5 માસ પૂર્વે જ લગ્ન જીવનની શરૂઆત કરનાર યુગલના મોતથી બંને પરિવારો ભાંગી પડ્યા છે હર્ષ ભાઈ બહેનમાં નાનો અને વૃધ્ધ માવતરનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો જયારે મીરાબેનને એક ભાઈ હોવાનું અને પરિવાર મેંગ્લોર સ્થાયી થયાં હોવાનું જાણવા મળ્યું છે.