મેઇન્ટનન્સ, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ મોરબી : ઝૂલતો પુલ તૂટી પડયાની ઘટનાની તપાસ માટે સીટ ટીમની રચના કર્યા બાદ સરકાર દ્વારા આ ગંભીર દુર્ઘટના અંગે ગતરાત્રીના ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર, મેનજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ 9 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટના બાદ સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા ઝૂલતોપુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી, મેનેજમેન્ટ કરનાર એજન્સી અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મોરબી ખાતે મચ્છુ નદિ પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર પુલ તુટી પડતા અનેક લોકોના મોત થયા હોય આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત, એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ, મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ દુર્ઘટના બની હોવાની ફરિયાદ નોંધાય છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે દીપકભાઈ નવીનચંદ્ર પારેખ ઉ.વ.44, દિનેશભાઇ મહાસુખરાય દવે ઉ.વ.41, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા ઉ.વ. 59, માદેવભાઈ લાખાભાઈ સોલંકી ઉ.વ.36 રહે.બધા મોરબી, પ્રકાશભાઈ લાલજીભાઈ પરમાંર ઉ.વ.63, દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર ઉ.વ. 31 રહે. બધા ધ્રાંગધ્રા, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ ઉ.વ.25, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ ઉ.વ.33, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણ ઉ.વ. 26 કામાવીરા જી.દાહોદને રાઉન્ડઅપ કર્યા છે અને ઉલટ તપાસ હાથ ધરી છે.