મોરબી : 30 ઓકટોબર મોરબી માટે ગોઝારો દિવસ. ગઈકાલ મોરબીની ઓળખ સમા ઝૂલતા પુલ તૂટી જતાં સેકડો લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. અત્યાર સુધીમાં 133 જેટલા મૃતદેહો નદીમાંથી બહાર કાઢ્યા છે. અને હજુ લાપતા લોકોની શોઘખોળ ચાલુ છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 133થી વધુ નિર્દોષ અને માસૂમ જિંદગીનો ભોગ લેવાયો છે. જેના કારણે મોરબીના આજે માતમનો માહોલ છવાઈ ગયો છે. મોરબી શહેરમાં ગઈકાલે સાંજે 6.30 આ ગોઝારી દુર્ઘટના બાદ ખોફનાક દ્ર્શ્યો અને માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આખી રાત મોરબી શહેરના રસ્તાઓ પર એમ્યુલન્સો દોડતી રહી હતી અને આજે સવારથી આજ માર્ગો પર શબવાહિનીઓ દોડતી નજરે ચડી રહી છે. જાણે આખા મોરબીમાં માતમ છવાયો હોય તેવું ગમગીન વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત ધમધમતું આપણું મોરબી આજેં દુઃખમાં ડૂબી ગયું છે. મુખ્ય તમામ બજારો બંધ છે. અને રસ્તા પર એક પછી એક શબવાહિનીઓ નીકળી રહી છે. સ્મશાનો અને કબ્રસ્તાનોમાં આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર પોતાના સ્વજનોને આખરી વિદાય આપતી વેળાએ ભારે હ્રદયદ્રાવક અને કરુણ દ્ર્શ્યો સર્જાયા છે. જેને શબ્દોમાં વર્ણવી શકય નથી.